રાજ્યની 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ?

ગ્રામ પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા સહિતની કામગીરી અટવાઈ ગઈ

રાજ્યની 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ?
image credit - Google images

ગુજરાતમાં એક બાજુ ગામડાઓમાં લોકો અનેક પ્રકારની હાડમારીઓનો સામનો કરી રહ્યાં છે. રોજગારી, શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે સરકારે અચાનક પુરતા આયોજન વિના નવી  9 મહાનગરપાલિકા જાહેર કરી દીધી છે. પણ હવે આ મામલે વિરોધનો વંટોળ ઉઠવો શરૂ થયો છે.

મળતી માહિતી પ્રમાણે નવી 9 મનપામાં સામેલ કરાયેલી 60 ગ્રામ પંચાયતો ભંગ કરી દેવાઈ છે ત્યાં લોકો જન્મ-મરણ, લગ્ન અને આવક સહિતના સરકારી દાખલાઓ મેળવવામાં અટવાઈ પડ્યાં છે. પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. આ સ્થિતિમાં આ સરકારી દાખલાઓ કાઢી આપવાની પ્રક્રિયા મહદ્દઅંશે ખોરંભે પડી છે. હોબાળો મચતાં આણંદ સહિતની અમુક મહાપાલિકા સિક્કો મારીને જન્મ- મરણના સાદા દાખલા આપી રહી છે. પરંતુ, ડેટા ટ્રાન્સફર થયાં ન હોવાથી કોમ્પ્યુટરાઈઝડ દાખલાઓ કાઢી અપાતાં નથી. બીજી તરફ, નવ મહાનગરપાલિકાઓએ આ દાખલાઓ કાઢી આપવા માટે સરકારમાંથી સત્તાવાર મંજુરી મેળવવાની દરખાસ્તો કરી દીધી છે તે મળી નથી. આ મંજુરી મળશે ત્યાં સુધી પ્રજાજનો દાખલા માટે ડખે ચડતાં રહેશે.

આયોજનના અભાવે લોકોને હાલાકી વેઠવાની આવી

1લી જાન્યુઆરીથી મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકા જાહેર કરી દેવામાં આવી હતી. જો કે, આ જાહેરાત પહેલા કે પછી શું કરવું તેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું ન હોવાથી આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આ નવ મહાનગરપાલિકામાં સમાવેશ થતા 60 ગ્રામ પંચાયતોના રહીશોને સરકારી દાખલા મેળવવામાં સમસ્યા સર્જાઈ રહી છે.  

સ્થાનિક સૂત્રો કહી રહ્યાં છે કે, મહાનગરપાલિકા જાહેર થયા 60માંથી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વસતા લોકોને જન્મ, મરણ કે લગ્નનો પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. પ્રમાણપત્ર કાઢવા માટેની સત્તા મળે તે માટે ઠરાવ પસાર કરી દેવાયો છે અને સરકારને મોકલી પણ દેવાયો છે. પરંતુ સરકારે પોતાની ઢીલી નીતિના દર્શન અહીં પણ કરાવ્યા છે અને હજુ સુધી આવી સત્તા મ્યુનિસિપલ કમિશનરને ન આપતા લોકો પ્રમાણપત્રો મેળવવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સત્તા મળી ગયા બાદ પણ 60 ગ્રામ પંચાયતોના લોકોને જન્મ-મરણ અને લગ્નનો  પ્રમાણપત્ર મેળવવા માટે છેક શહેર સુધી ધક્કા ખાવા પડશે તે કાયમી સમસ્યાનો સામનો લોકોએ કરવો પડશે.

17 દિવસ પછી પણ ગાડી પાટે ચડી નથી

હાલ નવ મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયેલી 60 જેટલી ગ્રામ પંચાયતોના લોકો દાખલા મેળવવાની સામાન્ય પ્રક્રિયા માટે પિડાઈ રહ્યા છે. જન્મ અને મરણ તેમજ લગ્ન સહિતના પ્રમાણપત્રો થકી  મિલકત તેમજ અન્ય સમાજ સંબંધિત કામગીરીઓ થતી હોય છે. આવા મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે હવે સરકાર ખૂબ જ ઢીલી નીતિ અપનાવી રહી  છે.

મહાનગરપાલિકા જાહેર થઈ ગયા ને 17 દિવસ વિત્યાં  છતાં હજુ સુધી મહાનગરપાલિકા નો વહીવટ પાટે ચડ્યો નથી. પરિણામે મહત્વના ગણાતા દાખલાઓ હજુ સુધી મહાનગરપાલિકામાંથી નીકળી શકતા નથી.  રાજ્યમાં 60 ગ્રામપંચાયતોને નવી નવ નગરપાલિકાઓમાં ભેળવી દેવામાં આવી છે. આ 60 ગ્રામ પંચાયતો ભંગ કરવામાં આવતાં હાલ પૂરતાં જન્મ-મરણ, આવક સહિતના સરકારી દાખલાઓ આપવાની પ્રક્રિયા થંભી ગઈ છે. સરકાર તરફથી દરખાસ્તને મંજુરી ન અપાય ત્યાં સુધી નીચે દર્શાવેલી 60 ગ્રામ પંચાયતોના રહીશો સરકારી દાખલાઓના મામલે અદ્ધરતાલ છે અને તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે.

આ પણ વાંચો: રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.