કેજરીવાલે દલિતો માટે બનાવેલી મોટાભાગની યોજનાઓ કેમ ફ્લોપ રહી?
Arvind Kejriwal અને AAP દલિતોના હામી હોવાની વાત કરે છે, પણ તેમની એકેય દલિતલક્ષી યોજના સફળ નથી થઈ. શા માટે આવું થયું તે સમજીએ.

આમ આદમી પાર્ટી (AAP) હાલ બે રાજ્યોમાં સરકાર ધરાવે છે, એક દિલ્હીમાં, બીજી પંજાબમાં. આપની મજબૂરી એ છે તે ભાજપ-કૉંગ્રેસની જેમ ચુસ્ત સવર્ણોની પાર્ટી છે અને તે જે બે રાજ્યોમાં સત્તા ધરાવે છે ત્યાં દલિતોની વસ્તી ઘણી વધારે છે. પંજાબમાં 32 ટકા દલિત મતો છે, જ્યારે દિલ્હીમાં 20 ટકા જેટલા દલિત મતો 12 જેટલી વિધાનસભા સીટો પર હારજીત નક્કી કરવામાં મહત્વના છે. આ સ્થિતિમાં કમને પણ કેજરીવાલે દલિતોને ખુશ રાખવા માટે કોઈને કોઈ યોજના જાહેર કરવી પડે છે. કોઈપણ કામ તમારી ઈચ્છા વિરુદ્ધ થાય એટલે સ્વાભાવિક છે કે તેમાં ધાર્યું પરિણામ ન આવે. આવું જ કેજરીવાલની મોટાભાગની દલિતો માટેની યોજનાઓમાં થયું છે.
વાસ્તવિકતા એ છે કે આમ આદમી પાર્ટીની સરકારે દલિતો માટે જે પણ યોજનાઓ બનાવી છે, તેનો અમલ ખૂબ જ નબળો રહ્યો છે. આ યોજનાઓનો લાભ બહુ ઓછા દલિતો સુધી પહોંચ્યો છે અને મોટા ભાગનાને તેનો વાસ્તવિક લાભ મળ્યો નથી. આમ, કેજરીવાલ સરકારની દલિતો માટેની યોજનાઓ માત્ર ચૂંટણીના નારા બની રહી છે, જેનો હેતુ માત્ર સત્તા જાળવી રાખવાનો અને ચૂંટણીમાં લાભ મેળવવાનો છે.
સત્તામાં આવ્યા પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારે દલિતોના ઉત્થાન માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી, જેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ અને સામાજિક સુરક્ષા જેવી આશાસ્પદ યોજનાઓ હતી. જો કે, આ યોજનાઓની વાસ્તવિક અસર બહુ ઓછી રહી છે. કેજરીવાલ સરકારે દલિતો માટે ઘણા મોટા દાવા કર્યા હતા પરંતુ વાસ્તવિકતા ઘણી અલગ છે.
શિક્ષણમાં નિષ્ફળતા: જય ભીમ મુખ્ય મંત્રી પ્રતિભા વિકાસ યોજના
કેજરીવાલ સરકારે દલિત બાળકોના શિક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરવાનું વચન આપ્યું હતું, જેમ કે, 'જય ભીમ મુખ્ય મંત્રી પ્રતિભા વિકાસ યોજના' અને સ્કોલરશીપ યોજના. પરંતુ આ યોજનાઓનો લાભ તેમના સુધી ન પહોંચી શક્યો જેમના માટે તે બનાવવામાં આવી હતી. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કોઈ નક્કર આયોજન નહોતું, જેના કારણે મોટાભાગના દલિત બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહ્યા હતા. શિષ્યવૃત્તિ યોજનાઓમાં પણ પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો અને ઘણી વખત દલિત બાળકોના નામ યાદીમાંથી બહાર રહી ગયા હતા. જેના કારણે આ યોજનાઓથી દલિત બાળકોને ખાસ કશો લાભ ન થયો.
બહુ ગાજેલી આરોગ્ય સેવાઓમાં પણ દલિતોની ઉપેક્ષા
કેજરીવાલ સરકારે આરોગ્ય સેવાઓ સુધારવા માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી, જેમ કે 'આયુષ્માન ભારત યોજના' અને 'દિલ્હી આરોગ્ય યોજના', જે દલિતો અને ગરીબો માટે હતી. પરંતુ આ યોજનાઓનો લાભ જમીનની લેવલે બહુ ઓછો હતો. સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓની તીવ્ર અછત હતી, અને સારવાર માટે લાંબી લાઈનોએ દલિત સમુદાયની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત અને દવાઓની ઉપલબ્ધતાની પણ સમસ્યા હતી, જેના કારણે આ યોજનાઓની કોઈ અસર ન થઈ. પરિણામે દલિતો આરોગ્ય સેવાઓનો લાભ લઈ શક્યા નહીં અને પહેલાની જેમ કુપોષણ અને બીમારીઓનો ભોગ બનતા રહ્યા.
રોજગાર અને સામાજિક સુરક્ષા યોજનાઓમાં નિષ્ફળતા
કેજરીવાલ સરકારે દલિતો માટે રોજગાર અને સામાજિક સુરક્ષા યોજનાઓની પણ જાહેરાત કરી હતી, પરંતુ જમીની વાસ્તવિકતા જુદી હતી. ‘શ્રમિક કાર્ડ યોજના’ અને ‘પેન્શન યોજના’ જેવી યોજનાઓનો લાભ દલિતો સુધી પહોંચી શક્યો નથી. ઘણી વખત આ યોજનાઓ અમલમાં મૂકતી વખતે વહીવટી સ્તરે ગેરરીતિઓ થતી હતી અને લાભાર્થી દલિતોને સમયસર પેન્શન મળતું ન હતું. તદુપરાંત, દલિત સમાજે રોજગાર મેળવવા માટે વારંવાર સરકારી કચેરીઓમાં જવું પડતું હતું, અને તેમનો અવાજ ક્યારેય સાંભળવામાં આવતો ન હતો. માત્ર અમુક જ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે, જ્યારે મોટાભાગના દલિતોની સ્થિતિ જેમની તેમ છે.
આવાસ યોજનાઓનો ફ્લોપ શો
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે 'જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં ઘર' યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય દલિતો અને ગરીબોને ઘરનું ઘર મેળવવા સક્ષમ બનાવવાનો હતો. પરંતુ આ યોજના હેઠળ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, અને દલિતોને તેમના ઘરની કાયમી સુવિધાઓ મળી શકી ન હતી. અનેક વખત આવાસના નામે માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા હતા, પરંતુ જમીન પર કોઈ કામ થયું નથી. આજે પણ દિલ્હીમાં દલિત સમુદાયને યોગ્ય આવાસનો અભાવ છે અને તેમને ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે. આ યોજના માત્ર કાગળ પુરતી જ સીમિત રહી અને અસલમાં તેની કોઈ અસર થઈ નહોતી.
ચૂંટણીલક્ષી રાજકારણ અને દલિતોના અધિકારો
દિલ્હીમાં દલિતોની વસ્તી 20 ટકા આસપાસ છે, અને 70 વિધાનસભા બેઠકોમાંથી 12 બેઠકો દલિતો માટે અનામત છે. વધુમાં, દલિતો અને મુસ્લિમો મળીને 30 ટકા વસ્તી ધરાવે છે, જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલા માટે કેજરીવાલ સરકાર દલિતોની વોટ બેંકને આકર્ષવા માટે યોજનાઓનો ઢંઢેરો પીટી રહી છે. જો કે, આ યોજનાઓનો ઉદ્દેશ્ય માત્ર દલિત વોટબેંકને મજબૂત કરી પોતાની તરફ ખેંચવાનો છે, નહીં કે દલિતોની વાસ્તવિક સુખાકારીનો. સરકાર માત્ર રાજકીય લાભ ખાટવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યારે દલિતોના વાસ્તવિક મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે.
દાનતમાં જ ખામી હોઈ જમીની સ્તરે કશું ન થયું
ટૂંકમાં, કેજરીવાલ સરકારની યોજનાઓનો ઉદ્દેશ્ય તો દલિતોના ઉત્થાન અને સશક્તિકરણનો હતો, પરંતુ આ યોજનાઓની અસર જમીની સ્તરે બહુ ઓછી જોવા મળી છે. સરકારી યોજનાઓનો લાભ માત્ર પસંદગીના અમુક લોકોને જ પહોંચ્યો, જ્યારે બહુમતી દલિત સમુદાય તેનાથી વંચિત રહ્યો. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આવાસ જેવી યોજનાઓના અમલીકરણમાં મોટી ખામીઓ અને ભ્રષ્ટાચાર હતા, જેના કારણે દલિતોના જીવનમાં કોઈ વાસ્તવિક સુધારો થઈ શક્યો નથી. કેજરીવાલ સરકાર તેના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે, અને તે દલિતો માટે માત્ર એક ચૂંટણીલક્ષી નારા બનીને રહી ગઈ છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરના માનમાં AAP સરકાર 'આંબેડકર સન્માન સ્કોલરશીપ' શરૂ કરશે