ખેતરમાં પશુઓ ભગાડવા બાંધેલા ઝાટકા તારના કરંટથી દલિત દંપતીનું મોત
ખેતર માલિકે દલિત દંપતીની લાશ કેનાલમાં ફેંકી દીધી. દીકરીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી.

ખેતરમાં માલિકે પશુઓ ભગાડવા માટે બાંધેલા વીજળીના ઝાટકા આપતા તારનો કરંટ લાગવાથી એક દલિત દંપતીનું મોત થઈ ગયું. મામલો ઉત્તરપ્રદેશના જૌનપુર ખુટહન વિસ્તારના મલૂકપુર ગામનો છે. અહીં એક દલિત દંપતી ખેતરમાં કામ કરી રહ્યું હતું. પાકને પશુઓથી બચાવવા માટે ખેતર માલિકે ફરતે તારની વાડ કરી તેમાં વીજળીનો કરંટ આપ્યો હતો. એટલું જ નહીં તેણે ખેતરના ટ્યૂબવેલ સાથે આ ઝાટકા તારને જોડી દીધો હતો. જેની જાણ તેણે તેના ખેતરમાં કામ કરવા આવતા દલિત દંપતિને કરી નહોતી. જેના કારણે આ તારને અડકી જતા બંનેનું મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરી દોષિત ખેતરમાલિકની ધરપકડ કરી છે.
ખેતરમાલિકે બંનેના મૃતદેહ કેનાલમાં ફેંકી દીધાં
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મલુકપુર ગામમાં ખેતરમાં કામ કરી રહેલા રામચરિત્ર અને તેમની પત્ની કિસ્મતી દેવી થોડા દિવસો પહેલા ગુમ થઈ ગયા હતા. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે કમલેશ સિંહના ખેતરમાં કામ કરી રહેલા આ દંપતીનું વીજળીના ઝાટકા લાગવાને કારણે મોત થયું હતું. જ્યારે કમલેશે પોતાના ખેતરમાં પડેલા દંપતીના મૃતદેહ જોયા, ત્યારે તેણે તેમને કારમાં મૂકીને નહેરમાં ફેંકી દીધા હતા. હવે તરવૈયાઓ નહેરમાં બંનેના મૃતદેહો શોધી રહ્યા છે. પોલીસ અધિક્ષક ડૉ. કૌસ્તુભે જણાવ્યું હતું કે કમલેશ સિંહની મંગળવારે ફિરોઝપુરથી આગળ પટેલા રોડ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખેતરમાં દવા છાંટવા ન જતા દલિત યુવકને બૂટમાં પેશાબ ભરીને પીવડાવ્યો
પશુઓથી બચવા ખેતરમાં બાંધેલો તાર મોતનું કારણ બન્યો
દલિત દંપતીની દીકરી સરિતા કુમારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 5 જાન્યુઆરીની સવારે તેના માતા-પિતા ગામની પશ્ચિમ બાજુએ તેમણે ભાગમાં રાખેલા ખેતરમાં વાવેલા પાકમાં પાણી પાવા માટે ગયા હતા. તે સાંજે પણ મોડે સુધી પાછા આવ્યા નહોતા. એ પછી તેમણે ઘણી શોધખોળ કરી હતી પરંતુ તેઓ ન મળ્યાં. આ કેસમાં, એસઆઈ મહેન્દ્ર યાદવ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ગુમ થયેલા દલિત દંપતીના ચંપલ, કોદાળી, ધાબળો, કપડાં અને મોજાં તે ખેતરમાંથી મળી આવ્યા હતા જ્યાં તેઓ કામ કરતા હતા. એ પછી ખેતરમાલિક કમલેશ સિંહની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે સ્વીકાર્યું કે તેણે પોતાના પાકને પ્રાણીઓથી બચાવવા માટે સ્ટીલના તારથી ખેતરને વાડ કરી હતી.
દલિત દંપતીને જાણ ન કરાઈ અને જીવ ગુમાવ્યો
ખેતરોમાં રંજાડ કરતા પ્રાણીઓથી પાકને બચાવવા માટે તેણે આ ઝાટકા તારને તેના ટ્યુબવેલની વીજળી સાથે જોડી દીધા હતા, જેથી પ્રાણીઓને વીજળીનો આંચકો લાગે અને તેઓ ભાગી જાય. જો કે ખેતર માલિક કમલેશસિંહે ખેતમજૂર રામચરિત અને તેમની પત્ની કિસ્મતી દેવીને આ બાબત જણાવી નહોતી. જ્યારે કમલેશ ખેતરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે રામચરિત્ર અને કિસ્મતી દેવીનું ઝાટકા તારના આંચકાથી મોત થઈ ગયું છે. તો તે આ ઘટના જોઈને ડરી ગયો અને પોતાના ઘરેથી બોલેરો જીપ લઈને આવ્યો અને પોતાના ભાઈ અખિલેશ સાથે મળીને બંનેના મૃતદેહ બાસુપુર નહેરમાં ફેંકી દીધા હતા. હવે આ મામલે બંનેની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ખેતરમાં પાણી વાળતા દલિત યુવકની સરપંચ અને સાગરિતોએ હત્યા કરી