ડી.વાય. ચંદ્રચૂડનું નામ ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે, કોર્ટો ICU માં છે...

મહારાષ્ટ્રમાં હાર બાદ શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ પર ગંભીર આરોપ લગાવ્યા.

ડી.વાય. ચંદ્રચૂડનું નામ ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે, કોર્ટો ICU માં છે...
image credit - Google images

શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે ગઈકાલે પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પર આકરા પ્રહારો કર્યા હતા. રાઉતે પૂર્વ સીજેઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો કે તેમણે મહારાષ્ટ્રમાં પક્ષપલટો કરનારા નેતાઓના મનમાંથી કાયદાનો ડર દૂર કરી દીધો છે. રાઉતે દાવો કર્યો હતો કે પક્ષપલટુ નેતાઓની અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય ન લઈને ચંદ્રચૂડે પક્ષપલટા માટે દરવાજા અને બારીઓ ખુલ્લી છોડી રાખી હતી. શિવસેના (UBT) નેતા રાઉતનું આ નિવેદન રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની કારમી હાર પછી આવ્યું છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ જ્યાં મહા વિકાસ અઘાડી (MVA) હેઠળ 95 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 20 બેઠકો જીતી શકી હતી.  મહા વિકાસ અઘાડીના અન્ય ગઠબંધન ભાગીદારોનું પ્રદર્શન પણ સારું નહોતું રહ્યું. કોંગ્રેસે 101 બેઠકોમાંથી માત્ર 16 બેઠકો જીતી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદપવાર) 86 બેઠકોમાંથી માત્ર 10 જ જીતી શકી હતી.

પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, 'ચંદ્રચૂડે પક્ષપલટુઓના મનમાંથી કાયદાનો ડર દૂર કરી દીધો છે. તેમનું નામ ઇતિહાસમાં કાળા અક્ષરે લખવામાં આવશે.' 

વર્ષ 2022માં અવિભાજિત શિવસેનાના ભાગલા બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથે એકનાથ શિંદે સાથે પક્ષપલટો કરનારા પક્ષના ધારાસભ્યોની ગેરલાયકાતને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાત અંગે નિર્ણય લેવાની જવાબદારી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પર છોડી દીધી હતી. એ પછી વિધાનસભા અધ્યક્ષે એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને 'અસલી રાજકીય પક્ષ' જાહેર કર્યો હતું.

રાઉતે આક્ષેપ કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાથી જ નક્કી થઈ ગયા હતા. તેમણે કહ્યું કે જો તત્કાલિન સીજેઆઈએ આ ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર સમયસર નિર્ણય કર્યો હોત તો આજે પરિણામ અલગ હોત.

અદાલતો હવે ICUમાં છે

સંજય રાઉતે કહ્યું, 'અમે દુઃખી છીએ, પરંતુ નિરાશ નથી. અમે લડાઈને નહીં છોડીએ. મતોનું વિભાજન પણ એક પરિબળ હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નફરતનું ઝેર ફેલાવતા અભિયાને અમારા પર નકારાત્મક અસર પાડી.'

રાઉતે કહ્યું કે, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પડોશી રાજ્ય ગુજરાતમાં યોજવો જોઈએ. દરમિયાન, પક્ષના મુખપત્ર 'સામના'માં તેમની સાપ્તાહિક કૉલમ 'રોકઠોક' માં રાઉતે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે, તેણે ચૂંટણીમાં ધનબળના ઉપયોગ તરફ આંખ આડા કાન કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોર્ટ લાંબા સમયથી ICUમાં છે.

આ પણ વાંચો: ગણપતિ પૂજા પર PM મારા ઘરે આવે એમાં કંઈ ખોટું નથી: ડી.વાય. ચંદ્રચૂડ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.