જો કુંભ મેળામાં નાસભાગ થશે તો ભગવાનની ધરપકડ થશે?
પોતાના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટે હોબાળો મચાવ્યો છે.

તેલંગાણા પોલીસે 'પુષ્પા ૨' ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં શુક્રવારે બપોરે એક્ટર અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. એ પછી પોલીસે તેને નીચલી કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. મોડી સાંજે તેને આ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જો કે, અભિનેતાને મુક્તિ મળી શકી ન હતી અને શુક્રવારની રાત તેણે જેલમાં વિતાવવી પડી હતી. એ પછી અભિનેતા શનિવારે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે, અલ્લુ અર્જુનની ધરપકડને કારણે ફિલ્મ ઉદ્યોગ બે જૂથોમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો. કેટલાકે કાયદાની ન્યાયી કાર્યવાહીની પ્રશંસા કરી જ્યારે અન્ય લોકોએ અલ્લુ અર્જુનની ધરપકડને ખોટી ગણાવી હતી. હવે અલ્લુને ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માનો સપોર્ટ મળ્યો છે. અભિનેતાની તરફેણમાં અવાજ ઉઠાવતા રામુએ અધિકારીઓને ચાર મહત્વના પ્રશ્નો પૂછ્યાં છે.
પોતાના એક્સ હેન્ડલ પર રામગોપાલ વર્માએ લખ્યું, અલ્લુ અર્જુનની ધરપકડ મામલે મારા અધિકારીઓને ચાર સવાલ છે. એક - કુંભ મેળા કે બ્રહ્મોત્સવ જેવા સ્થળોએ નાસભાગ થાય તો શું દેવતાઓની ધરપકડ કરવામાં આવશે? બીજું- રાજકીય સભાઓ કે રેલીઓમાં નાસભાગને કારણે થતા મૃત્યુના કિસ્સામાં રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવશે?
રામ ગોપાલ વર્માએ આગળનો પ્રશ્ન પૂછ્યો - જાહેર ફિલ્મ કાર્યક્રમોમાં નાસભાગ મચી જવાના કિસ્સામાં પોલીસ સિવાય હીરો-હીરોઈનોની ધરપકડ કરવામાં આવશે? અને આયોજકો સિવાય આ નાસભાગને બીજું કોણ નિયંત્રિત કરી શકે?' રામુની અગાઉની પોસ્ટના જવાબમાં આ એક પોસ્ટ હતી જેમાં તેણે નાસભાગના કેસ માટે અલ્લુ અર્જુનને દોષી ઠેરવવાની ટીકા કરી હતી.
તેમણે લખ્યું હતું કે, 'પુષ્પા ૨ દર્શાવતા થિયેટરની બહાર નાસભાગમાં એક મહિલાના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ માટે અલ્લુ અર્જુનને દોષી ઠેરવવો ખરેખર હાસ્યાસ્પદ છે. સેલિબ્રિટીઓ તેમની અપીલથી ભારે ભીડને આકર્ષિત કરે છે, પછી તે ફિલ્મ સ્ટાર્સ, રોક સ્ટાર્સ અને ભગવાન પણ હોય. અને નાસભાગ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ભારે ભીડ હોય અને નાસભાગની આ પહેલી ઘટના નથી.
રામ ગોપાલ વર્મા પહેલા, રવિ કિશન, રશ્મિકા મંદન્ના, નાની, વિવેક ઓબેરોય અને વરુણ ધવન જેવા સ્ટાર્સ પણ પોલીસની આ કાર્યવાહીની ટીકા કરતા અને તેને અન્યાયી ગણાવતા જોવા મળ્યા છે. અલ્લુ અર્જુન જેલમાંથી છૂટ્યો પછી, 'પુષ્પા ૨' ના નિર્દેશક સુકુમાર, વેંકટેશ અને વિજય દેવરાકોંડા તેને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યારે પ્રભાસે અભિનેતા સાથે ફોન પર પણ વાત કરી અને તેની ખબર પૂછી હતી.
આ પણ વાંચો: પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે ઢીંકાપાટુ-લાફાવાળી થઈ