દવાખાનાના કામમાં કોઈ પાસે હાથ ન લંબાવવો હોય તો આ કાર્ડ કઢાવી લો

ગરીબીમાં જીવતા બહુજન સમાજે આ કાર્ડ ચોક્કસ કઢાવવું જોઈએ, તેના અનેક ફાયદા છે.

દવાખાનાના કામમાં કોઈ પાસે હાથ ન લંબાવવો હોય તો આ કાર્ડ કઢાવી લો
image credit - Google images

દલિત-બહુજનમાં આજે પણ મોટાભાગની વસ્તી ગરીબીમાં ગુજારો કરવા માટે મજબૂર છે. માંડ માંડ બે ટંકનો રોટલો પુરો કરતા આપણાં સમાજને જ્યારે કટોકટીની પરિસ્થિતિ આવી પડે ક્યારે કોઈની પાસેથી ઉછીના પાછીના રૂપિયા લઈને કામ પુરું કરવું પડતું હોય છે. સરકારી યોજનાઓનો લાભ તેમના સુધી પૈસા સ્વરૂપે પહોંચવા દેવાતો નથી, તેમ છતાં કેટલીક એવી યોજના છે તે અકસ્માત જેવી ઘટનામાં આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.

આવી જ એક યોજના એટલે આયુષ્યમાન ભારત યોજનાનું આભાકાર્ડ. આ કાર્ડ દલિત બહુજન સમાજને અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. આભા કાર્ડ કઢાવી લેનારને ભારતના કોઈપણ ખૂણે અકસ્માત થાય તો કાર્ડના આધારે દેશની કોઈપણ હોસ્પિટલમાં સારવાર ઝડપથી ચાલુ કરી શકાશે. આ આભા કાર્ડ તમે કોઈ પણ જાતની તકલીફ વિના તમારું આધારકાર્ડ અને અન્ય વિગતો ઓનલાઇન અપલોડ કરીને જાતે ઈશ્યુ કરાવી શકો છો.

આભા કાર્ડ કઢાવનારને આખા ભારતમાં રૂ. 5 લાખ સુધીના ખર્ચની સારવાર મફતમાં મળી શકે છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારની પાંચ લાખ અને રાજ્ય સરકારની પાંચ લાખ મળીને કુલ રૂ. 10 લાખ સુધીની સારવાર મફતમાં મળે છે.

આ પણ વાંચો: ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ

આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ આભા કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. તમે અમદાવાદ શહેરમાં રહો છો તો કોઈપણ અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આભા કાર્ડ કઢાવવા માટેની ઓનલાઇન અરજી કરાવડાવીને ગણતરીની મિનિટોમાં તે મેળવી શકો છો. તેના માટે તમારો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હોવો જરૂરી છે. તેમાં ઘરનું સરનામું અને તેના સ્વજનોના નંબર પણ મળી જશે. વીમા કંપનીઓ પણ સમય જતાં તેની સાથે લિંક કરી દેશે. પરિણામે સમય જતાં તેના થકી વીમા ક્લેઇમ પણ સેટલ થઈ શકશે.

જૂના રિપોર્ટ સાથે લઈ જવાની ઝંઝટ નહીં રહે

આભા કાર્ડ ધરાવનારાને કોઈપણ હૉસ્પિટલમાં સારવાર લેવા જતાં પહેલા તેના જૂના રિપોટ્‌ર્સની ફાઇલ પણ લઈ જવી પડશે નહિ. આભા કાર્ડ કઢાવ્યા પછી કોઈ પણ ડૉક્ટર પાસે સારવાર લેતી વખતે તેનો નંબર આપીને સારવાર લેશો તો આભા કાર્ડ પર જ તમારા આરોગ્યનો સંપૂર્ણ રૅકોર્ડ બનશે અને સચવાઈ પણ રહેશે. તેમાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ, બીમારીઓ તથા અન્ય શારીરિક સમસ્યાઓ ઉપરાંત સારવાર દરમિયાન ડૉક્ટરે આપેલી દવાઓ અને ડૉક્ટર સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત થઈ શકશે.

કાર્ડ નહીં હોય અને માત્ર નંબર યાદ હશે તો પણ કામ થઈ જશે

કાર્ડ પણ ભૂલી જશો અને આભા કાર્ડનો નંબર યાદ રાખી લેશો તો પણ તમારી સંપૂર્ણ કેસ હિસ્ટ્રી ડૉક્ટરને મળી જશે. આમ તમે માત્ર હૉસ્પિટલમાં કે ડૉક્ટર પાસે જઈને તમારા આભા કાર્ડનો ડિજીટલ આઇડી આપશો તો તમારું કામ થઈ જશે.

આભા કાર્ડમાં લેબ ટેસ્ટના દરેક રિપોર્ટ પણ સ્ટોર થઈ શકશે. પરિણામે અજાણ્યા ડૉક્ટર્સ પણ તમને વ્યવસ્થિત સારવાર આપી શકશે. આભા કાર્ડ ઇશ્યુ કરાવ્યા બાદ જીવન દરમિયાન જેટલી પણ સારવાર લીધી હશે અને તમારા જે કોઈ મેડિકલ રૅકોર્ડ બન્યા હશે તે તમામ રૅકોર્ડ તેના પર આવી જશે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં વસતા નાગરિક પાસે પણ આભા કાર્ડ હશે તો તે ટેલિમેડિસિનના માઘ્યમથી અમદાવાદના ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે. ખાનગી ડૉક્ટરની સેવાઓ પણ સરળતાથી મળી શકશે. આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ લિંક કરી દેવામાં આવી છે. પરિણામે આભા કાર્ડ ધારકને વીમા કંપનીઓની સેવા પણ સરળતાથી મળી શકશે.

આભા કાર્ડની સૌથી મહત્વની વાત તેમાં મળતી રૂ. 10 લાખ સુધીની મફત સારવાર છે. માટે દરેક દલિત બહુજન સમાજે આ કાર્ડ કઢાવીને તેનો લાભ ચોક્કસ લેવો જોઈએ.

આ પણ વાંચો: રાજકોટમાં લવ જેહાદથી બચવા પાટીદારોના ગરબામાં આધારકાર્ડ ફરજિયાત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Vaghela Dineshkumar Velaji
    Vaghela Dineshkumar Velaji
    આટલું બધું લાંબુ સમજાવ્યા પછી લિંક તો આપી નહીં.
    12 days ago
  • Bhemabhai.kesarabhai.parmar1
    Bhemabhai.kesarabhai.parmar1
    Abhakarad
    12 days ago