જૂનમાં દેશમાં 6 મુસ્લિમોને ટોળાંએ માર માર્યો છે, સરકાર મૌન છેઃ ઓવૈસી

હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમ(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપો સાથે પ્રહારો કર્યા હતા.

જૂનમાં દેશમાં 6 મુસ્લિમોને ટોળાંએ માર માર્યો છે, સરકાર મૌન છેઃ ઓવૈસી
image credit - Google images

હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુન મુસલમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના સબકા સાથ, સબકા વિકાસના નારા પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર બોલતા ઓવૈસીએ કહ્યું હતું કે, ૪ જૂનથી અત્યાર સુધીમાં દેશમાં ૬ મુસ્લિમોને ટોળાએ માર માર્યો છે. ૧૧ મુસ્લિમોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે પણ સરકાર મૌન છે.

અંદાજે ૮ મિનિટના પોતાના ભાષણમાં ઓવૈસીએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર પેલેસ્ટાઈનીઓને મારવા માટે ઈઝરાયેલને હથિયારો આપી રહી છે.

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીને ૨૦૨૪માં જે જીત મળી છે તે માત્ર હિન્દુત્વના કારણે જ મળી છે. તેમનું સમગ્ર રાજકારણ મુસ્લિમોની નફરત પર આધારિત છે.

ઓવૈસીએ આ દરમિયાન બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આજે દેશના અડધાથી વધુ યુવાનો બેરોજગાર છે અને સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી. પેપર લીકના કારણે છેલ્લા ૫ વર્ષમાં ૬૫ લાખ યુવાનોની કારકિર્દી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.

હૈદરાબાદના સાંસદે વધુમાં કહ્યું કે, બનારસના વણકરો મંદીનો સામનો કરી રહ્યા છે. તેમને હવે સુરતમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

ઓવૈસીએ સંસદમાં કેન્દ્ર સરકારને પૂછ્યું કે ભારત ઈઝરાયેલને કેમ મદદ કરી રહ્યું છે? તેમણે કહ્યું કે ભારત ઇઝરાયલને હથિયારોના કન્સાઇનમેન્ટ મોકલી રહ્યું છે અને તે હથિયારોની મદદથી ઇઝરાયેલ પેલેસ્ટાઇનના લોકોની હત્યા કરી રહ્યું છે. તમે પેલેસ્ટાઈનને લઈને આ પ્રકારની નીતિ કેમ અપનાવી રહ્યા છો?

આ પણ વાંચોઃ આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

ઓવૈસીએ વધુમાં કહ્યું કે મોદી સરકાર ભારતમાં એક કેમ્પ લગાવી રહી છે, જ્યાં લોકોને પસંદ કરીને યુદ્ધ માટે ઈઝરાયેલ મોકલવામાં આવી રહ્યા છે. રશિયા માટે પણ આ જ કામ કરવામાં આવી રહ્યું છે. આ ખોટું છે અને સરકારે આનો જવાબ આપવો પડશે. 

તેમણે સરકારને કહ્યું કે, તમારી રણનીતિના કારણે ગલ્ફ દેશોમાં રહેતા ૯૦ લાખ લોકોમાં ભયનું વાતાવરણ છે. ૪ જૂન પછી દેશમાં મોબ લિંચિંગની ૬ ઘટનાઓ બની છે, પરંતુ આના પર કોઈ બોલવા તૈયાર નથી. આપણે કેવા પ્રકારનું ભારત બનાવી રહ્યા છીએ?

ઓવૈસીએ મુસ્લિમોના ઘરો પર બુલડોઝર ચલાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું- છેલ્લા એક મહિનામાં દેશમાં મુસ્લિમોના ૧૧ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ મકાનો મધ્યપ્રદેશ અને હિમાચલમાં તોડી પાડવામાં આવ્યા છે. દેશમાં મુસ્લિમોને હિસ્સો પણ નથી મળી રહ્યો. ભારતમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૨૦ ટકા છે, પરંતુ સંસદમાં તેમનો હિસ્સો ૪ ટકા માંડ છે.
ઓવૈસીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં મુસ્લિમ સમાજ ક્યારેય વોટ બેંક નથી રહ્યો. અત્યારે પણ વડાપ્રધાન મોદી તેમને ઘૂસણખોર કહે છે. ભાજપ માટે મુસ્લિમોનો અભિપ્રાય મહત્વનો નથી.

આગળ આ પણ વાંચોઃ મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.