મુસ્લિમ વિસ્તારને ‘પાકિસ્તાન’ કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલી વધી

બેંગ્લુરુના એક મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે મામલો હાથમાં લીધો છે.

મુસ્લિમ વિસ્તારને ‘પાકિસ્તાન’ કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલી વધી
image credit - Google images

Muslim area Pakistan:કર્ણાટક હાઈકોર્ટના વિવાદાસ્પદ જજ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમણે પશ્ચિમી બેંગલુરુના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારને પાકિસ્તાન ગણાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એટલું જ નહીં, તેમણે એક મહિલા વકીલને આંતરવસ્ત્રો સંબંધિત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ બંને મામલે હવે સુપ્રીમ કોર્ટે સુઓમોટો હાથ ધરી છે. 

સીજેઆઈ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું છે કે, “અમે આ મુદ્દે માર્ગદર્શિકા જારી કરીશું. કોર્ટની કાર્યવાહી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જજ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર મીડિયા રિપોર્ટ્‌સે ધ્યાન દોર્યું છે.”

વિવાદાસ્પદ આ જજની પાકિસ્તાન સંબંધિત ટિપ્પણીનો વીડિયો વાયરલ થયાંને થોડા સમય બાદ તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મહિલા વકીલ પર અસંવેદનશીલ અને વાંધાજનક ટિપ્પણી કરતાં જોવા મળે છે.

એ વીડિયોમાં જસ્ટિસ શ્રીશાનંદ વિપક્ષના વકીલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવા માટે મહિલા વકીલને ઠપકો આપતા જોવા મળે છે. તેઓ મહિલા વકીલને કહે છે કે, “તેઓ સામેના પક્ષ વિશે ઘણું જાણે છે, હવે પછી તેઓ તેમના આંતરવસ્ત્રોનો કલર પણ કહી દેશે.” કર્ણાટક હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન જજ શ્રીશાનંદે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા

આ મામલે સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, અમે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશને વિનંતી કરીએ છીએ કે તેઓ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નિર્દેશ બાદ તેમનો રિપોર્ટ સબમિટ કરે. મુખ્ય ન્યાયાધીશે આ માટે બે દિવસનો સમય આપ્યો છે. સીજેઆઈએ કહ્યું કે, અમે એટર્ની જનરલ અને સોલિસીટર જનરલે આ મામલો પોતાનો પક્ષ રાખવા માટે વિનંતી કરી છે. આ કેસની આગામી સુનાવણી ૨૫ સપ્ટેમ્બરે થશે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટના જજ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદે બે કોમેન્ટ કરી છે. એક પાકિસ્તાન સાથે સંબંધિત હતી અને એક મહિલા વકીલ સાથે સંબંધિત  હતી, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ક્લિપ વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલા અંગે તરત પગલાં લીધાં છે.

જસ્ટિસ શ્રીશાનંદે ૨૮ ઓગસ્ટે એક કેસની સુનાવણી દરમિયાન કર્ણાટકના ગોરીપલ્યા (મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર)ને પાકિસ્તાન ગણાવ્યું હતું. શ્રીશાનંદે કહ્યું હતું કે, “ગોરીપલ્યામાં એક ઓટોમાં ૧૦ લોકો જાય છે, ત્યાં કાયદો લાગુ થતો નથી, ગોરીપલ્યાથી મૈસૂર ફ્લાયઓવર સુધીનો વિસ્તાર પાકિસ્તાનમાં છે, ભારતમાં નથી. અહીં કાયદો લાગુ પડતો નથી અને આ સત્ય છે.”

આ પણ વાંચો: બોલો લો! હાઈકોર્ટના જજની નિવૃત્તિ બાદ 9 ચુકાદા આવ્યા, સુપ્રીમ પણ હેરાન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.