ભગવાનને ચઢાવાયેલા નવ લીંબુ હરાજીમાં રૂ. 2.36 લાખમાં વેચાયા

ગઈકાલે એક પ્રખ્યાત મંદિરમાં ભગવાનને ચડાવાયેલા લીંબુની હરાજી કરવામાં આવી હતી, જેને ભક્તોએ 2.36 લાખ રૂપિયામાં ખરીદ્યાં હતા. વાંચો આ રિપોર્ટ.

ભગવાનને ચઢાવાયેલા નવ લીંબુ હરાજીમાં રૂ. 2.36 લાખમાં વેચાયા
image credit - Google images

ધર્માંધ પ્રજાને ઈશ્વરી શક્તિના નામે ગમે તેવી ક્ષુલ્લક વસ્તુ પણ મોંઘા ભાવે વેચીને છેતરી શકાતી હોય છે. આવું જ એક ઉદાહરણ ગઈકાલે તમિલનાડુના એક ગામના પ્રસિદ્ધ મંદિરમાં જોવા મળ્યું, જ્યાં ભગવાનને ચડાવાયેલા નવ લીંબુની હરાજી કરવામાં આવી હતી અને તે રૂ. 2.36 લાખમાં વેચાયા હતા.

તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં સ્થિત ઓટ્ટાનંદલ ગામમાં પ્રસિદ્ધ રથિનાવેલપાંડિયન મુરુગન મંદિર આવેલું છે. એક પર્વતની ટોચ પર આવેલું આ મંદિર તેની આકર્ષક સુંદરતા માટે પ્રખ્યાત છે. મંદિરના મુખ્ય દેવતા મુરુગન, ૫ ફૂટની ઊંચાઈએ બિરાજે છે, અને પૂજા કરવા આવતા ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે તેવો દાવો કરવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે પંગુની ઉથિરમ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ તહેવાર ૧૫ માર્ચથી શરૂ થયો હતો અને ૨૩મી માર્ચ સુધી નવ દિવસ સુધી ચાલ્યો હતો. ઉજવણીના આ નવ દિવસ દરમિયાન, રથિનાવેલપાંડિયન મુરુગન મંદિર સાથે સંકળાયેલી એક અનોખી વિધિ સંપન્ન થઈ હતી. ૯ દિવસ સુધી ચાલેલા આ ઉત્સવ દરમિયાન વિવિધ પ્રાર્થના અને આશીર્વાદના પ્રતીક તરીકે કુલ નવ લીંબુ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ૯ દિવસના ઉત્સવ દરમિયાન મંદિરમાં જે નવ લીંબુની પૂજા કરવામાં આવી હતી તેને હરાજી માટે મૂકવામાં આવ્યાં હતાં અને તેમના માટે બોલી લગાવવા ભક્તોમાં જોરદાર હરીફાઈ થઈ હતી. અહીં એક માન્યતા છે કે આ લીંબુની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. એક લીંબુની સૌથી વધુ ૫૦,૫૦૦ રૂપિયામાં હરાજી થઈ હતી. કુલ ૯ લીંબુની ૨,૩૬,૧૦૦ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં

વિવિધ ધાર્મિક વિધિઓ કર્યા પછી, મંદિરના પૂજારી બ્રુદોત્તમનખીલાજડિત પ્લેટફોર્મ પર ઊભા થયા હતા અને લીંબુની હરાજી શરૂ કરી હતી. નવ દિવસીય ઉત્સવ દરમિયાન પૂજવામાં આવેલા નવ લીંબુની વ્યક્તિગત રીતે હરાજી કરવામાં આવી હતી. બોલી એક રૂપિયાથી શરૂ કરાઈ હતી જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો. બોલી લગાવનારાઓમાં કલ્લાકુરિચી જિલ્લાનાં નિઃસંતાન દંપતિ અરુલદાસ અને કનિમોઝીએ સૌથી વધુ સંખ્યામાં લીંબુ ખરીદ્યા હતા. પંગુની ઉથિરમ ઉત્સવ ભગવાન શિવ અને દેવી પાર્વતી, ભગવાન રામ અને દેવી સીતા, મુરુગન (કાર્તિકેય) અને દેવસેના તેમજ રંગનાથ (વિષ્ણુ) અને અંડાલના લગ્નની ઉજવણીને ચિહ્નિત કરે છે. તેને અયપ્પનના પ્રાગટ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે.

આગળ વાંચોઃ દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.