ધાર્યું હતું એવું જ થયું, નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં વિરોધ શરૂ
વાવ-થરાદ જિલ્લાની જાહેરાત થતાની સાથે જ અહીંના ત્રણ તાલુકાના લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમાં સ્થાનિક ધારાસભ્યોએ પણ સૂર પુરાવતા મામલો ગરમાયો છે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાવવામાં આવેલા નવા જિલ્લા વાવ-થરાદને અપેક્ષા પ્રમાણે જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરાયેલા ત્રણ તાલુકાઓ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ તેમને બનાસકાંઠામાં જ રહેવું છે તેમ કહીને ઉત્ર વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સામે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે અને લોકોએ રસ્તા પર ઉતરી આવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો
આ મામલે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે. અહીં મોટાભાગના લોકોના ધંધા રોજગાર તેમજ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ધાનેરાથી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે અનુકૂળ છે. એવામાં તેમને નવા જિલ્લામાં ભેળવી દેવાથી સમસ્યાઓ પેદા થશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય લઈ લીધો છે. કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે.
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.
બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લો બન્યો
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના 14 તાલુકામાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.
આ પણ વાંચોઃ રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો