વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો

સુરતમાંથી વધુ એક કથિત તાંત્રિક દ્વારા મહિલા પર ઘરમાંથી વાસ્તુદોષ હટાવવાની વિધિના બહાને બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો છે.

વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો

સુરતના ઉતરાણ વિસ્તારમાં રહેતી પરણીતાને તાંત્રિક ભેટી ગયો હતો. ઘરમાં ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાના બહાને પરણિતાને સાથે શારિરીક અડપલાં કર્યા હતાં. મહિલાએ પ્રતિકાર કરતાં જો વિધિ પૂરી નહીં થાય તો તારા પતિ અથવા ઘરમાંથી કોઈનો પણ ભોગ લેવાશે તેવું કહી પરિણીતાને ડરાવી હતી. બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તાંત્રિકે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. આખરે ભોગ બનેલી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાંત્રિક સામે બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે. 

સુરતમાં અંધશ્રદ્ધાને લીધે વિધિના બહાને તાંત્રિકોનો ભોગ બનવાના કિસ્સા સામે આવતા રહે છે. અગાઉ પણ આ જ રીતે તાંત્રિકો દ્વારા મહિલાઓને મંત્રતંત્રના નામે ડરાવીને મહિલાઓને હવસનો શિકાર બનાવવાના કિસ્સા સામે આવતા રહ્યાં છે ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં રહેતી પરણીતા પોતાના ઘરે હતી ત્યારે અમરોલી કોસાડ રોડ પર સ્વીટ હોમની સામે શ્રી હરિકૃષ્ણ રેસીડેન્સીમાં રહેતા રાહુલ દિનેશભાઈ પંડ્યા તેણીના ઘરે આવ્યા હતા. પરણીતાને ઘરમાં બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે, એટલે આર્થિક તંગી રહે છે. તેવું કહી મનમાં મૂંઝવણ ઉભી કરી હતી. મહિલાએ વધારે પૃચ્છા કરતાં તાંત્રિક રાહુલે ધાર્મિક વિધિ કરવાની વાત કરી હતી. રાહુલ પંડ્યાએ મગના અને અડદના દાણા લઈ પરિણીતાને બેડરૂમના દરવાજા ઉપર ઊભી રાખી કપાળે જીભથી ચાંદલો કરવા કહ્યું, આવું કરવા જતાં તાંત્રિકે તેણીને કિસ કરવાની કોશિશ કરી હતી.

પરિણીતા એ પ્રતિકાર કરતા તાંત્રિક રાહુલે હવે તો આ વિધિ પૂરી કરવી જ પડશે. જો તું આ વિધિ પૂરી નહીં કરે તો તારો પતિ મરી જશે અથવા તો ઘરમાથી કોઈનો પણ ભોગ લેવાશે. તેવું કહીને પરણીતાને ડરાવી હતી.  ડરી ગયેલી પરિણીતાના ઘરે તાંત્રિક વિધિના બહાને આવતો હતો અને તું તારા પતિને ડિવોર્સ આપી દે અને જો ડિવોર્સ નહીં આપે તો તારા ફોટા વાયરલ કરી દઈશ. તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. અવારનવાર ઘરે આવી પરિણીતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બે વર્ષ બાદ આખરે આ મામલે પરિણીતાએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસના કારણે યુવકે આત્મહત્યા કરી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.