રાજ્યમાં RTEની ખાલી રહેલી 5873 બેઠકો માટે ત્રીજો પ્રવેશ રાઉન્ડ શરૂ

રાજયમાં આરટીઈ અંતર્ગત ધોરણ ૧માં પ્રવેશ માટેની પ્રક્રિયા દરમિયાન બે રાઉન્ડના અંતે ખાલી પડેલી 5873 બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

રાજ્યમાં RTEની ખાલી રહેલી 5873 બેઠકો માટે ત્રીજો પ્રવેશ રાઉન્ડ શરૂ
all image credit - Google images

રાજયમાં આરટીઈ અંતર્ગત ધોરણ ૧માં પ્રવેશ માટેની પ્રક્રિયા દરમિયાન બે રાઉન્ડના અંતે ખાલી પડેલી 5873 બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવાની વાલીઓને તક અપાઈ છે. આ માટે શુક્રવારથી લઈને ૨૬ મે સુધી વાલીઓ આરટીઈના પોર્ટલ પર જઈને શાળાઓની ફરી પસંદગી કરી શકશે.

પ્રથમ બે રાઉન્ડની કાર્યવાહીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો નથી તેઓ જ ત્રીજા રાઉન્ડની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. જો વાલી શાળાની પુનઃપસંદગી નહીં કરે તો અગાઉની પસંદગીને માન્ય રાખી ત્રીજા રાઉન્ડના પ્રવેશ ફાળવવામાં આવશે.

ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ ૧૫ એપ્રિલના રોજ અને બીજો રાઉન્ડ ૧૫ મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આરટીઈ બંને રાઉન્ડની કાર્યવાહી બાદ જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો તે પૈકી ૩૯૦૭૩ જેટલા વિદ્યાર્થીઓએ ફાળવેલી શાળાઓમાં જઈ નિયત સમય મર્યાદામાં પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો હતો.

બે રાઉન્ડની કાર્યવાહીના અંતે સમગ્ર રાજયમાં ૫૮૭૩ બેઠકો ખાલી રહેવા પામી હતી. જે પૈકી અંગ્રેજી માધ્યમની શાળાઓની ૩૬૮૩, ગુજરાતી માધ્યમની શાળાઓની ૫૮૨, હિન્દી માધ્યમની શાળાઓની ૧૪૯૬ અને અન્ય માધ્યમની શાળાઓની ૧૦૯ બેઠકોનો સમાવેશ થાય છે.

આ ખાલી જગ્યા પર જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલી હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલો નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા ધરાવતી ખાનગી પ્રાથમિક શાળાઓની ફરી પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાય.

જે વિદ્યાર્થીઓને અગાઉના બે રાઉન્ડમાં પ્રવેશ મળેલો નથી તેવા વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેઓ આજથી એટલે કે ૨૪ મેથી ૨૬ મે રવિવાર સુધીમાં આરટીઈના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર કિલક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર કિલક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે.

આ પણ વાંચો: RTE માં ફોર્મ ભરવાની મુદત વધી છતાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.