RTE માં ફોર્મ ભરવાની મુદત વધી છતાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

ચૂંટણી સહિતના કારણોસર RTE ફોર્મ ભરવાની મુદ્દત લંબાવીને 30મી માર્ચ કરવામાં આવી છે, તેમ છતાં એક કારણોસર હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે.

RTE માં ફોર્મ ભરવાની મુદત વધી છતાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

હાલ રાજ્યમાં આરટીઈ હેઠળ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી સહિતના કારણોસર ફોર્મ ભરવાની મુદ્દત લંબાવીને 30મી માર્ચ કરવામાં આવી છે, તેમ છતાં એક કારણોસર હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે.

ગુજરાતમાં હાલ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં 25 બેઠકો પર મફત પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આરટીઆઈ થકી ધો.1માં પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન પ્રક્રિયામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. પણ રજૂઆતો કરવામાં આવતા આખરે ફોર્મ ભરવાની મુદત વધારીને 30મી માર્ચ કરવામા આવી છે. જો કે આ વર્ષે રેકોર્ડબ્રેક 2.10 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાંથી આજ સુધીમાં 1.33 લાખ જેટલા ફોર્મ મંજૂર થયા છે. પ્રવેશ ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી હોવાથી હજુ પણ વધુ ફોર્મ ભરાશે. જો કે આ વર્ષે 50 ટકા બેઠકો ઘટી હોવાથી હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે.

આ પણ વાંચો:ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન, એક્ટ 2009 અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો પર ગરીબ, જરૂરિયાતમંદ સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મફત પ્રવેશ આપવામા આવે છે. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આરટીઈમાં ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે. વર્ષ 2024-25ના વર્ષ માટેની આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં 14મી માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત હતી પરંતુ આજે મુદત વધારીને 30મી માર્ચ કરાઈ છે. ધો.1માં છ વર્ષે જ પ્રવેશના નવા નિયમને લીધે ધો.1માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અને વિદ્યાર્થીઓના બાલવાટિકામાં પ્રવેશ થતા તેની સીધી અસર આરટીઈની બેઠકો પર પડી છે આ વર્ષે આરટીઈની બેઠકો 50 ટકા જેટલી ઘટી ગઈ છે. જે મુજબ આ વર્ષે એટલે કે 2024-25 માટે માત્ર 43896 જેટલી જ બેઠકો છે. જેની સામે ગત વર્ષે 83 હજાર જેટલી બેઠકો હતી. આરટીઈ પ્રવેશના હાલના નિયમ મુજબ ધો.1ની વર્ગદીઠ કુલ મંજૂર જગ્યામાં ગત વર્ષે જે આરટીઈના પ્રવેશ થયા હોય તેને બાદ કરતા જેટલી બેઠકો રહે તેના 25 ટકા મુજબ બીજા વર્ષે પ્રવેશ અપાય છે. 

આ નિયમ મુજબ હવે 2024-25ના વર્ષ માટે રાજ્યમાં બેઠકો ઘટતા મોટી મુશ્કેલી ઉભી થઈ છે. ગત વર્ષે ત્રણ રાઉન્ડને અંતે 61 હજારથી વધુ બાળકોના પ્રવેશ થયા હતા. આમ ગત વર્ષ મુજબ પ્રવેશની સંખ્યા જોઈએ તો આ વર્ષે 43 હજાર બેઠકો સામે હજારો બાળકો પ્રવેશ વંચિત રહે તેવી સ્થિતિ છે. કારણ કે આ વર્ષે અત્યાર સુધીમાં 2.12 લાખ ઓનલાઈન ફોર્મ ભરાયા છે અને અને જેમાંથી 1.33 લાખ ફોર્મ અપ્રુવ થયા છે. અર્થાત બેઠકોના ત્રણ ગણાથી વધુ ફોર્મ મંજૂર થયા છે અને હજુ પણ 30મી સુધીમાં અપ્રુવલ ફોર્મ વધશે. જેના કારણે આંકડો હજુ આગળ વધશે. એ સ્થિતિમાં ગરીબ વાલીઓને તેમના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સારી શાળા શોધવી અઘરી બની જશે. અનેક બાળકોનું ભવિષ્ય રઝળી પડશે.

આ પણ વાંચો: ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.