નામદેવ ઢસાળઃ દલિત પેન્થરના સ્થાપક, ભારતીય કવિતાઓના આંબેડકર

સ્વાભાવિક છે કે કોઈ દલિત-બહુજન લેખક લખે તો તેની કલમમાંથી કોઈ પુષ્પવર્ષા તો થાય નહીં! મનુવાદના ઘોર વિરોધી પાસે મર્યાદિત શબ્દોની અપેક્ષા રાખવી પણ ન જોઈએ અને નામદેવ ઢસાળના શબ્દો પણ કોઈ મર્યાદાનું પાલન નહોતા કરતા. દલિત પેન્થરના સ્થાપક અને ભારતીય કવિતાઓના આંબેડકરની જેમને ઉપમા મળેલી છે તેવા નામદેવ ઢસાળનો આજે જન્મદિવસ છે ત્યારે તેમને યાદ કરીએ.

નામદેવ ઢસાળઃ દલિત પેન્થરના સ્થાપક, ભારતીય કવિતાઓના આંબેડકર

એક સમયે જેમને ભારતીય કવિતાઓના આંબેડકર તરીકેનું બિરુદ્દ મળ્યું હતું તે વિદ્રોહી કવિતાના જનક નામદેવ ઢસાળનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 15 ફેબ્રુઆરી, 1949ના રોજ પુણે, મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. દલિત ચળવળના ઈતિહાસમાં, ડૉ. આંબેડકર અને માન્યવર કાંશીરામ વચ્ચેની કડીમાં ઢસાલની ઓળખ મુખ્યત્વે કવિ તરીકે કરવામાં આવી છે, પરંતુ તેઓ સાથે એક ચિંતક, ચિત્રકાર, અસાધારણ સંગઠક અને દૂરંદેશી રાજનેતા જેવા અન્ય ઘણાં ગુણો પણ હતા.

આજથી ચાર દાયકા પહેલાં, 9 જુલાઈ 1972ના રોજ, નામદેવ ઢસાલે તેમના સાથી લેખકો સાથે મળીને 'દલિત પેન્થર' જેવા બળવાખોર સંગઠનની સ્થાપના કરી હતી. ડૉ.આંબેડકર પછી આ સંગઠને માન-અપમાનથી અજ્ઞાન એવા દલિત સમાજને નવેસરથી જાગૃત કર્યો. કહેવાતા આંબેડકરવાદી નેતાઓની સ્વાર્થી નીતિઓ અને બેવડા ચારિત્ર્યથી નિરાશ થયેલા આ પ્રગતિશીલ વિચારધારા સાથે સંકળાયેલા દલિત યુવાનોએ દલિતોમાં એક નવો જુસ્સો ભર્યો, જેના પરિણામે તેઓને તેમની તાકાતનો અહેસાસ થયો અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની માનસિકતા પેદા થઈ.

દલિત પેન્થર અને દલિત સાહિત્ય એક જ સિક્કાની બે બાજુ છે. જે નેતાઓએ તેની સ્થાપના કરી હતી તે પહેલાથી જ સાહિત્ય સાથે સંકળાયેલા હતા. દલિત પેન્થરની સ્થાપના પછી, તેમનું સાહિત્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું અને જોતાં જ તે મરાઠી સાહિત્યની સમકક્ષ સ્તરે પહોંચ્યું.

પછીના સમયગાળામાં, ડૉ. આંબેડકરની વિચારધારા પર આધારિત પેન્થર્સના મરાઠી દલિત સાહિત્યે હિન્દી પટ્ટા સહિત અન્ય વિસ્તારો પર કબજો કર્યો. દલિત સાહિત્યને આ ઉંચાઈએ લઈ જવાનો મોટાભાગનો શ્રેય નામદેવ ઢસાળને જાય છે.

'ગોલપિઠા', 'પીબી રોડ' અને 'કમાઠીપુરા'ના નરકમાં જીવીને નામદેવ ઢસાળે લાવા જેવી તપતી કવિતાઓમાં જીવનની જે અંધારી બાજુઓ કોતરેલી છે તેનું વર્ણન કરવાની ક્ષમતા ભાગ્યે જ કોઈ અન્ય કવિઓમાં જોવા મળે છે.

નામદેવ ઢસાલે તેમના કાવ્ય જગતને જમીન પર લાવવા માટે તેમના લેખક મિત્રો સાથે મળીને દલિત પેન્થર જેવી લડાયક સંસ્થાની સ્થાપના કરી, જેણે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ભારતની રાજનીતિને પ્રભાવિત કરી. જો કે જીવનના અંતિમ તબક્કામાં તેઓ આરએસએસ અને શિવસેના તરફ ઢળ્યાં તેના કારણે ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું. તેમ છતાં આ રાજકીય ઝોંક તેમની કવિતાઓને સ્પર્શી શક્યો નહોતો. આજે ગુજરાતમાં પણ દલિત પેન્થર મજબૂતીથી કાર્યરત છે તેના મૂળ નામદેવ ઢસાળે મહારાષ્ટ્રમાં રોપેલા બીજમાં પડ્યાં છે.

હિદાયત પરમાર

આ પણ વાંચો : હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.