સાબરકાંઠાના ગામડી ગામના તમામ પુરુષો ફરાર થઈ ગયા

સરહદી સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં છેલ્લાં પાંચ દિવસથી એકપણ પુરૂષ જોવા નળી મળી રહ્યો. એવું તે શું બન્યું છે આ ગામમાં, જાણો આ રિપોર્ટમાં.

સાબરકાંઠાના ગામડી ગામના તમામ પુરુષો ફરાર થઈ ગયા
all image credit - Google images

ગુજરાતના એક છેવાડાના ગામમાં હાલમાં એકપણ પુરુષ નથી. માત્ર મહિલાઓ જ જોવા મળી રહી છે. ઘર-પરિવારની તમામ જવાબદારીઓ મહિલાઓ પર આવી પડી છે. વાત સરહદી સાબરકાંઠા જિલ્લાના ગામડી ગામની છે, જ્યાં છેલ્લા ૫ દિવસથી ગામના પુરુષો ફરાર છે. ગામડી ગામ પાસે તાજેતરમાં અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા ગયેલી પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ વાહન સળગાવી દીધું હતું.

પોલીસે ટોળાને વિખેરવા ૧૨૦થી વધારે ટિયરગેસના શેલ છોડ્યા હતા. આ બનાવને લઈ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ૪૨ લોકો સામે નામજોગ સહિત ૭૦૦ ના ટોળા સામે ગુનો નોંધાયો છે. જેથી પોલીસ પકડી ન જાય તે માટે ગામના તમામ પુરુષો ફરાર થઈ ગયાં છે.

પોલીસ પર પથ્થરમારો કર્યો હતો

છેલ્લા ૫ દિવસથી ગામમાં એકપણ પુરુષ ફરક્યો નથી, તમામ ઘરો મહિલાઓના હવાલે છે, જેના કારણે મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે. પરિવારની જવાબદારી સાથે-સાથે પશુપાલન અને ખેતીનું કામ પણ કરવું પડી રહ્યું છે. ડેરી બંધ હોવાના કારણે મહિલાઓ દૂધ રખડતા શ્વાનને અથવા તો પોતાનો ઢોરને પીવડાવવા મજબૂર બની છે. અન્ય પાયાની જરૂરીયાતો માટે પણ મહિલાઓ હેરાન થઈ રહી છે. તેમની એવી માંગ છે કે, ગામમાં ડેરી સહિતની પાયાની વસ્તુઓ શરૂ કરવામાં આવે તો તેમની ઘણી સમસ્યાઓનું સમાધાન આવી શકે.

પોલીસના ડરથી ગામના પુરૂષો ક્યાં સુધી ભાગતા રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે. ગામડી પાસે અકસ્માત બાદ બનેલા બનાવમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત ૪૨ના નામજોગ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક મહિલા સહિત ૧૦ જણાની ધરપકડ કરી છે.

700 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો

આ અંગે હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ ઇન્દ્રવિજયસિંહ તખતસિંહે નોધાવેલી ફરિયાદ મુજબ, ગામડી ગામના ૪૨ સહિત ૭૦૦ના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે નેશનલ હાઇવે રોડ પર ચક્કાજામ કરી તેના ઉપર લાકડા અને ટાયરો સળગાવ્યા હતા.

આ પણ વાંચો: ગામમાં બાળ લગ્ન થશે તો સરપંચ અને પંચાયતના સભ્યો જવાબદાર ગણાશે

જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રસ્તો ખુલ્લો કરાવવા જતા પોલીસ પર છુટા પથ્થરો મારી પોલીસને જાનથી મારી નાખવાના ઈરાદે સરકારી ગાડીના ડ્રાઈવર સરકારી ગાડીમાં હાજર હતો. તે ગાડીને આગચંપી કરી સરકારી ગાડી સળગાવતા ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા સરકારી ગાડીમાંથી કૂદી પડ્યો હતો.

હિંસક ટોળાએ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરી પોલીસને જીવતી સળગાવી દેવાના ઈરાદે સરકારી ગાડી સળગાવી તથા અન્ય સરકારી ગાડીઓને નુકશાન કરી આશરે રૂ ૧૫ લાખ તથા નેશનલ હાઈવે રોડને થોડા સમય માટે ટ્રાફિકની અવર જવર બંધ કરાવી ગેરકાયદેસર અવરોધ કરી નુકસાન કરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચો: મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.