ગુટકા ઉધાર ન આપતા લુખ્ખાએ દલિત મહિલા પર જીવલેણ હુમલો કર્યો
માથાભારે તત્વોએ દવાખાનામાં દાખલ દલિત પરિવારને ધમકી આપી રહ્યાં છે કે, "જીવ વ્હાલો હોય તો હવે ફરીથી ગામમાં પગ ન મૂકતા. નહીંતર બધાંને પતાવી દઈશું."

Dalit woman attacked in Hatwa, Chhatarpur, 4 people injured : મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના હટવા ગામમાં ગુટકા ઉધાર ન આપતા ઠાકુર જાતિના ગુંડા તત્વોએ લાકડી અને દંડા લઈને મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો. દુકાનદાર મહિલાના હજુ થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા. આ હુમલામાં નવપરિણીત પૂજા અહિરવાર અને તેના ત્રણ ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના હટવાના ચંદલા વિસ્તારની છે. અહીં એક દુકાનદાર મહિલાએ ઠાકુર જાતિના એક શખ્સને ગુટખા ન આપતાં તેણે મહિલા પર હુમલો કરી દીધો. તેને લાકડી દંડાથી ઢોર માર માર્યો એટલું જ નહીં, ત્રણ ભાઈઓ સહિત તેના આખા પરિવાર પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના હાથ, પગ અને માથું તૂટી ગયું હતું. તમામ ઘાયલોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ટ્રોમા વોર્ડમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઉધારી ચૂકવવાની ત્રેવડ નહોતી એટલે દાદાગીરી કરી
ઘાયલોના જણાવ્યા અનુસાર મામલો છતરપુરના હટવાના પ્રકાશ બામોરી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો. અહીં એક દલિત પરિવારની દુકાને ઠાકુર કોમનો એક શખ્સ ગુટખા ઉધાર લેવા માટે ગયો હતો. જો કે દુકાનદાર મહિલાએ તેને અગાઉના બાકી રૂપિયા ચૂકવી દો, એ પછી નવી ઉધારી શરૂ કરજો એમ કહ્યું હતું. બસ આટલી અમથી વાતનું આ જાતિવાદી શખ્સને ખોટું લાગી ગયું હતું. એ પછી તેણે કશું જ જોયા વિના દલિત મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો.
પૂજાના ત્રણ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ
તેણે પોતાના સાગરિતો સાથે દલિત મહિલાને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેના પરિવારના સભ્યો તેને બચાવવા આવ્યા ત્યારે તેમના પર પણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દુકાનદાર પૂજા અહિરવાર અને તેના ત્રણ ભાઈઓ ઘાયલ થયા હતા. હુમલામાં પૂજાનો પગ ભાંગી ગયો હતો. જ્યારે તેના બંને ભાઈઓને પગ અને માથામાં ગંભીર ઈજાઓ છે.
પૂજા કહે છે કે ગામના માથાભારે ઠાકુરોએ તેમને જાતિસૂચક ગાળો ભાંડીને મારી નાખવાની ધમકી આપી છે. આરોપીઓએ કહ્યું છે કે ગામ છોડીને જતા રહો નહીંતર બધાંને મારી નાખવામાં આવશે.
આરોપી ખૂલ્લેઆમ મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે
પીડિત પરિવારનું કહેવું છે કે, આ મામલે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ માથાભારે ઠાકુરોની બીકના કારણે પોલીસે અમારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને અસલ આરોપી એવા ઠાકુરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પૂજા અહિરવારનો પરિવાર કહે છે કે, આરોપીઓ અને તેમના સાગરિતો ગામમાંથી અહીં છતરપુર જિલ્લા હોસ્પિટલમાં આવીને ધમકી આપી રહ્યા છે કે, ગામમાં પાછા ન આવતા અને જો આવી ગયા તો બધાંને મોતને ઘાટ ઉતારી દઈશું. આ મામલે પ્રકાશ બમ્હોરી પોલીસ સ્ટેશનનું કહેવું છે કે અમે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ડોક્ટરોના રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: 'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
રતિલાલ પરમારઆવા ઠકુરો ને કાયદાનું ભાન કરાવવું પડે એમપી ની પોલિશ નો ભર્તી સમયે મેડિકલ કરેલું છે તો એમાં સંકા છે એ પોલિશ ના રૂપમાં લેડીશ છે બાકી મર્દ પોલીસ હોય તો આવા ગરીબ લોકોને Kanad ગત ના હોય.