અમરેલીમાં પુત્રવધૂએ ઈલેક્ટ્રીક કટરથી વિધવા સાસુની હત્યા કરી

સાવરકુંડલામાં શ્વેતા પાઠક નામની મહિલાએ તેની 50 વર્ષની વિધવા સાસુ બીનાબેન પાઠકની ઈલેક્ટ્રીક કટરથી ઠંડા કલેજે હત્યા કરી નાખી છે.

અમરેલીમાં પુત્રવધૂએ ઈલેક્ટ્રીક કટરથી વિધવા સાસુની હત્યા કરી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. માત્ર થોડા મહિના પૂર્વે લગ્ન કરીને સાસરે આવેલી પરિણીતાએ પોતાની માતા સાથે મળીને ૫૦ વર્ષીય વિધવા સાસુની ર્નિમમ હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે સાવરકુંડલા શહેર પોલીસ દ્વારા ૨૭ વર્ષીય શ્વેતા પાઠક અને ૪૭ વર્ષીય માતા સોનલ શાસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ખાતે રહેતા ૫૦ વર્ષીય બીનાબેન પાઠકની તેમની પુત્રવધુ શ્વેતા પાઠક અને તેની માતા સોનલ શાસ્ત્રી દ્વારા ઈલેક્ટ્રીક કટર વડે ઠંડા કલેજે હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે મૃતકના પુત્ર વૈભવ પાઠક દ્વારા સાવરકુંડલા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા માતા અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી પુત્રવધૂએ સાસુના મેણાંટોણાંથી કંટાળી જઈને તેમની હત્યા કરી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસના કારણે યુવકે આત્મહત્યા કરી?

બીના પાઠક

સાવરકુંડલા સીટી પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વૈભવ પાઠક એચડીએફસી બેન્કમાં નોકરી કરે છે. ૮ - ૯ માસ પૂર્વે તેના લગ્ન શ્વેતા સાથે થયા હતા. વૈભવ સાથે શ્વેતાના બીજા લગ્ન છે. તેની માતા સોનલ શાસ્ત્રીના પણ બીજા લગ્ન થઈ ચૂક્યા છે. માતા સોનલ શાસ્ત્રી પોતાની પુત્રીના સાસરે ગત છઠ્ઠી તારીખે આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, માતા-પુત્રી દ્વારા બીનાબેન પાઠક નામની વિધવાની હત્યા મામલે કાવતરું રચવામાં આવ્યું હતું કે કેમ? બુધવારે પુત્ર વૈભવ રાજુલા ખાતેથી નોકરી પૂરી કરીને સાવરકુંડલા પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચતા જ પોતાની માતાને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલી જોઈને તે ચોંકી ગયો હતો. ત્યારે વૈભવની પત્ની અને સાસુ દ્વારા તેના આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી. જેના કારણે તેને આંખમાં બળતરા ઉપાડતા તે ઘરની બહાર નીકળી ગયો હતો અને રાડારાડી કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે આ મામલે આટલી ઘાતકી રીતે હત્યા કરવા પાછળ બીજા ક્યા કારણો જવાબદાર છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.