કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?

દિલ્હીમાં રાજપૂત આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ કટ્ટર સવર્ણવાદી માનસિકતા ધરાવે છે.

કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?
image credit - Google images

આમ આદમી પાર્ટી(AAP) અને અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિષીનું નામ જાહેર કરીને ફરી એકવાર દિલ્હીના દલિત મતદારોની પીઠમાં છરો ભોંક્યો છે. આપ અને કેજરીવાલના આ નિર્ણયથી એ સાબિત થઈ ગયું કે તે પણ અન્ય રાજકીય પક્ષોની જેમ સવર્ણોની પાર્ટી છે અને તેને દલિતોના મતો તો જોઈએ છે પણ તેમને સત્તામાં ભાગીદારી નથી આપવી. કેજરીવાલે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ ચુસ્ત સવર્ણવાદી રાજકારણ રમતા નેતા છે અને દલિતો તેમને માત્ર ચૂંટણી જીતવા પુરતા જ જોઈએ છે.

અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો તેમની ઓફિસોમાં અને કાર્યાલયોમાં લગાવે છે. આ માટે તેમણે બાકાયદા ફરમાન જારી કરેલું છે. તેની પાછળ સ્પષ્ટ રીતે રાજકીય હેતુ રહેલો છે. આપની જે બે રાજ્યોમાં સરકારો છે તે દિલ્હી અને પંજાબમાં દલિત મતદારોની સંખ્યા મોટી છે અને કેજરીવાલ માને છે કે દલિતો 'બાબાસાહેબનો ફોટો', બંધારણ બચાવવાના વાયદાઓ 'જય ભીમ'ના નારાથી ખુશ થઈ જતા હોય તો તેમને મલાઈદાર હોદ્દા આપવાની શું જરૂર છે? શા માટે દલિતોને હોદ્દાઓની લહાણી કરીને પોતાની કોર વોટબેંક એવા સવર્ણોને નારાજ કરવા?

આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...

અગાઉ એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રીમીલેયર મુદ્દે પણ તેમણે મૌન રહીને સ્પષ્ટ રીતે સવર્ણોની તરફેણ કરી હતી. ગુજરાતથી લઈને તમામ જે પણ રાજ્યોમાં આપ થોડી ઘણી પણ મજબૂત છે ત્યાં તમામ મહત્વના હોદ્દાઓ પર ભાજપ-કોંગ્રેસની જેમ દલિત સિવાયની જાતિના જ નેતાઓને છે.

કોંગ્રેસે તો સમ ખાવા પુરતા પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીપદે બેસાડ્યા પણ હતા. પણ કેજરીવાલની પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પંજાબમાં ભગવંત માનને મુખ્યમંત્રી બનાવીને અહીંના 32 ટકા દલિત મતદારોને અન્યાય કર્યો હતો.

આ તર્જ પર તેમણે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી પદે આતિષીને બેસાડીને દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. હાલમાં જ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને આગામી ચૂંટણીમાં આપ નવેસરથી બહુમતી ન મેળવે ત્યાં સુધી તેઓ સીએમની ખુરશી પર નહીં બેસે તેવી જાહેરાત કરી હતી.

દિલ્હીના આધારભૂત સૂત્રો કહેતા હતા કે, કેજરીવાલ કોઈ દલિત ચહેરાના મુખ્યમંત્રી તરીકે આગળ કરશે. તેના માટે ત્રણ ચાર દલિત નેતાઓના નામો પર ચર્ચા પણ થઈ હતી અને એક નામ ફાઈનલ પણ થઈ ચૂક્યું હતું. જો કે છેલ્લી ઘડીએ એ દલિત નેતાને સાઈડમાં મૂકીને પંજાબી રાજપૂત એવી આતિષીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જેના પરથી દિલ્હીના દલિત મતાદારો ફરી એકવાર છેતરાયાની લાગણી અનુભવી રહ્યાં હોવાનો મેસેજ ગયો છે. હવે ફેબ્રઆરી મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે જોવાનું એ રહેશે કે દિલ્હીના દલિત મતદારો આ આખા મામલાને કેવી રીતે લે છે.

આ પણ વાંચો: 10 વર્ષ 100 દિવસમાં મોદી સરકારે 35 લાખ કરોડની લૂંટ કરી:ખડગે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.