'મોહરા' ફિલ્મ જેમ આસારામના 400 વિરોધીઓની હત્યાના પ્લાનનો પર્દાફાશ?

આસારામના કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિના હત્યારા કિશોર બોડકેએ કરેલા ઘટસ્ફોટથી રાજકોટ ક્રાઈમ બ્રાંચના પગ તળેથી જમીન ખસકી ગઈ છે?

'મોહરા' ફિલ્મ જેમ આસારામના 400 વિરોધીઓની હત્યાના પ્લાનનો પર્દાફાશ?
image credit - Google images

અનેક યુવતીઓનું જીવન બરબાદ કરી દેનાર અને હાલ દુષ્કર્મના કેસમાં જેલની સજા કાપી રહેલો ઢોંગી બાપુ એવો આસારામ હાલ સારવારના કારણે પેરોલ પર બહાર છે. પણ એ દરમિયાન એક એવી ઘટના બની છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. આસારામની સામે પડેલા તેના પૂર્વ સાધક અને દુષ્કર્મ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની 23 મે 2014ના રોજ રાજકોટમાં ફાયરિંગમાં હત્યા થઈ હતી. આ કેસમાં આસારામનો એક સાધક કિશોર બોડકે છેલ્લાં 10 વર્ષથી ફરાર હતો. અમદાવાદ આસારામ આશ્રમના સેવક એવા કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37)ને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી જીવના જોખમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાંથી ઝડપી લીધો છે. અને પોલીસ પૂછપરછમાં તેણે જે કબૂલાતો કરી છે તે સાંભળીને ક્રાઈમ બ્રાંચ પણ ચોંકી ઉઠી છે.

અમૃત પ્રજાપતિ વૈદ્યની હત્યામાં આસારામના સાધકોની સંડોવણી ખુલી હતી. રાજકોટમાં તેની હત્યા કરનાર શાર્પશૂટર કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદની ધરપકડ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેની સંડોવણી ખુલી હતી. જેની રાજકોટ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. હજુ આ કેસમાં 7 શખ્સો ફરાર છે. પકડાયેલ કિશોર બાલકૃષ્ણ બોડકનો અમદવાદ સીઆઇડી ક્રાઈમે કબજો લીધો છે.

આસારામ વિરોધી 400 લોકોને પતાવી દેવાનો પ્લાન હતો

પ્રાથમિક તપાસમાં ચોકાનારી હકીકત સામે આવી છે. કિશોર બાલકૃષ્ણ બોડકેએ ભારતમાં આસારામનો વિરોધ કરનાર 400 જેટલા વિરોધીઓની યાદી તૈયાર કરી હતી. અને એક પછી એક દરેક વિરોધીઓની હત્યાનો પ્લાન પણ બનાવ્યો હતો. કિશોર બોડકેએ આસારામના વિરોધીઓને ‘પાઠ’ ભણાવવા એસિડ એટેકથી માંડી ફાયરીંગ સહિતની તૈયારી કરી લીધી હતી.

અમૃત પ્રજાપતિને કેવી રીતે પતાવી દીધો?

દુષ્કર્મ કેસમાં આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અને કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિ ગત તા 23/05/2014ના રોજ રાજકોટમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કરી હત્યા કરવામાં આવી હતી. રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આવેલ વૈદ્ય અમૃત પ્રજાપતિ પાસે બપોરે 1 વાગે એક વ્યક્તિ ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવ્યો હતો અને વૈદ્ય અમૃત પ્રજાપતિ હોસ્પિટલની બહાર નીકળતા હતા ત્યારે આ શખ્સે અમૃત પ્રજાપતિ ઉપર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કર્યું હતું. ફાયિંરગમાં અમૃત પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ અને એક મેગેઝિન અને 10 કાર્ટીસ સ્થળ પડી જતા તે મળી આવ્યા હતા. અમૃત પ્રજાપતિને રાજકોટ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે રાજકોટ બી-ડીવીઝન પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. 

અમૃત પ્રજાપતિએ અંતિમ નિવેદનમાં અનેકના નામ આપ્યાં

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમૃત પ્રજાપતિએ સારવાર વખતે ભાનમાં હતા ત્યારે પોતાના અંતિમ નિવેદનમાં મેઘજીભાઇ પટેલ(કાંકરેજ, હાલ માં નગર, વડોદરા આશ્રમ), કે.ડી. ઉર્ફે કાંતિલાલ ડી.પટેલ (ઇડર, સાબરકાંઠા, હાલ-એ-16, મહેનજીબા નગર, મોટેરા), આસારામની જમીનનું કામકાજ સંભાળતા વિકાસ કૈલાસચંદ ખેમકા (રહે, સુરત) રામચંદ્ર ચંદીરામ ઠક્કર (ડીસા, હાલ મોટેરા, આશ્રમના ખરીદ વેચાણના ઇન્ચાર્જ), અજય રસિકલાલ શાહ (મનોરમાગંજ ઇન્દોર, હાલ મોટેરા આશ્રમ) અને કૌશિક પોપટ (નંદુરબાર, મહારાષ્ટ્ર, હાલ હિસાબનીશ, મોટેરા આશ્રમ)ના નામ આપ્યા હતા. જોકે આ તમામની પુછપરછ બાદ આ હત્યા કેસમાં શાર્પશૂટર કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરનું નામ ખૂલ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

કિશોર બાડકે કર્ણાટકના આસારામ આશ્રમમાંથી ઝડપાયો

બન્ને શખ્સો અગાઉથી રાજકોટ આવી ગયો હતો અને રાજકોટ ખાતે આસારામ આશ્રમમાં રોકાયાનું સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું હતું. આ કેસમાં કિશોર બાલકૃષ્ણ બોડકેનું નામ ખુલ્યું હતું જેણે અમૃત પ્રજાપતિની હત્યાની સોપારી આપી હતી.

આ પણ વાંચો: ગૌરી ગરવાની હત્યામાં આખું કચ્છ હિબકે ચઢ્યું, ખુદ સાંસદ ન્યાય માટે રસ્તે ઉતર્યા

રાજકોટમાં આસારામના પૂર્વ સાધકની 10 વર્ષ પૂર્વની હત્યાનું કાવતરું રચનાર હત્યામાં સંડોવાયેલ મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના વીડીઘરકુલ બ્રહ્મનાથનગરના વતની અને અમદાવાદ આશારામ આશ્રમ, મોઢેરા ખાતે રહેતા સેવક કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37) કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં છુપાયો હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઇ.જલદિપસિહ વાઘેલા, હેડ કોન્સટેબલ સુભાષભાઇ ધોધારી, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયાની ટીમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં સેવક બની વેશપલ્ટો કરી પાંચ દિવસ સુધી વોચ રાખી સેવક કિશોર બાલકૃષ્ણ બોડકેને પકડી રાજકોટ લાવવામાં આવ્યો હતો.

'મોહરા' ફિલ્મ જેમ આસારામ બોલે તેનું લિસ્ટ બનાવતો

પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોર બોડકે આસારામનો કટ્ટર સાધક હોવાનું જાણવા મળ્યું છે. તે ભારતમાં આવેલ આસારામના અલગ-અલગ આશ્રમમાં ફરતો રહેતો અને સેવા આપતો હતો. તે આસારામના વિરોધીઓ ઉપર ખાસ વોચ રાખતો હતો અને જે લોકો આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી તેમના ઉપર હુમલા કે તેની હત્યાનો પ્લાન બનાવતો હતો હતો. કિશોર બોડકે હત્યા અને હત્યાની કોશિશ સહિત ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરત ખાતે ઉમરા, અડાજણ અને ખાટોદર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ તે સુરતમાં આસારામના એક વિરોધી ઉપર એસિડ એટેક પણ કર્યો હતો. કિશોર સાથે અન્ય 7 સાધકો ફરાર હોય તેની ભાળ મેળવવા માટે હવે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમ કિશોરની વિશેષ પૂછપરછ કરશે.

કિશોરની ધરપકડ બાદ પોલીસે નોન સ્ટોપ 1200 કિમી અંતર કાપ્યું

કિશોરની ધરપકડ બાદ કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આસારામ આશ્રમમાં સાધકો રાજકોટ પોલીસ ઉપર હુમલો કરે તેવી દહેશતને પગલે ગુપ્ત ઓપરેશન ઘડવામાં આવ્યું હતું. પી.એસ.આઈ એ.એન.પરમાર પી.એસ.આઈ એમ.કે.મોવલીયાની ટીમમાં ફરજ બજાવતા એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન ડવ અને સંજય ખાખરીયા બે દિવસ પૂર્વે રાજકોટથી નીકળી 1200 કિલોમીટરનું અંતર કાપી કર્ણાટક સ્થિત કાલા બગુડા જિલ્લામાં આવેલ આસારામના આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીંયા પહોંચી તેઓ પ્રથમ એક દિવસ સાધક બની દર્શન કર્યા હતા અને આરોપી ઉપર વોચ રાખવી શરૂ કરી હતી. ત્યાબાદ બાદ કિશોર બોડકે વિશે ભાળ મળી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને 10 કલાકમાં 1200 કિલોમીટરનું નોનસ્ટોપ અંતર કાપી કર્ણાટકથી પરત રાજકોટ લઈ આવ્યા હતા.

આ પણ વાંચો: ‘ઓ બાંગ્લાદેશી…’ ના મેણાંથી કંટાળી યુવકે 4 બહેનો અને માતાની હત્યા કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.