બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી

દલિત યુવક અને તેના ભાઈને કોલેજ સંચાલક, તેના પુત્ર સહિત ચાર બ્રાહ્મણોએ ઓફિસમાં પુરી માર મારી માફી મગાવી.

બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી

મધ્યપ્રદેશના ગ્વાલિયરના ડાબરા સ્થિત ખાનગી આઈટીઆઈ કોલેજમાં એક દલિત વિદ્યાર્થી અને તેના ભાઈને બંધક બનાવી માર મારવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી અને તેના ભાઈનો આરોપ છે કે કોલેજના ડાયરેક્ટર, તેના બે પુત્રો અને એક શિક્ષકે મળીને બંનેને કોલેજમાં બંધક બનાવ્યા હતા. તેમને તેમની જાતિ વિશે પૂછ્યા બાદ તેમના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. જાતિવાદી તત્વો આટલેથી અટક્યા નહોતા. તેમણે બંને યુવકોને જાતિ આધારિત અપશબ્દો કહીને તેમના પગ ધોવડાવ્યા અને માફી મગાવી હતી.

આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ ગ્વાલિયરમાં ભીમ આર્મીના કાર્યકરો બંને પીડિત યુવકો સાથે પોલીસ અધિક્ષકની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ધરણાં કર્યા હતા અને રોડ બ્લોક કરી દઈ પોલીસનો વિરોધ કરતા સૂત્રોચ્ચારો કર્યા હતા. 

બંને ભાઈઓ પાસે પગ ધોવડાવી માફી મગાવી

ભીમ આર્મી સાથે આવેલા પીડિત વિદ્યાર્થી વિવેક જાટવનો આરોપ છે કે તે ડાબરા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગઢ રોડ પર ભાડાના મકાનમાં રહે છે અને ડાબરામાં આવેલી ખાનગી સિમવાસીસ આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં તેનો એક યુવક સાથે વિવાદ થયો હતો, જેના કારણે કોલેજના ડિરેક્ટર રવિશંકર શુક્લા, તેના પુત્ર આશિષ શુક્લા, પાર્થ શુક્લા અને શિક્ષક રવિ શર્માએ તેને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો. જ્યાં તેનું નામ પૂછ્યા બાદ તેની અટક પૂછવામાં આવી હતી અને ત્યારબાદ જાતિ આધારિત ગાળો બોલી માર માર્યો હતો. 

ભાઈને બોલાવી તેને પણ માર માર્યો

યુવકનું કહેવું છે કે, આરોપીઓએ ત્યારબાદ તેના પરિવારજનોને બોલાવવા કહ્યું હતું, જો કે બીજું કોઈ ઘરે ન હોવાથી તેણે તેના ભાઈ સત્યેન્દ્ર જાટવને બોલાવ્યો હતો. સત્યેન્દ્રના આવ્યા બાદ તેને પણ કેબિનમાં બોલાવી બંનેને બંધક બનાવી દીધાં અને માર માર્યો હતો. એટલું જ નહીં, જાતિવાદી તત્વોએ બંને ભાઈઓએ પાસે પોતાના પગ ધોવડાવ્યા હતા અને માફી મગાવી હતી. બંને દલિત યુવકોનું કહેવું છે કે, તેમને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો કેમ કે તે દલિત છે. જે અંગે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. 

ભીમ આર્મીના કારણે પોલીસ નરમ પડી

જ્યારે ભીમ આર્મીએ આ મુદ્દો ઉઠાવ્યો અને પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો, ત્યારે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી હતી. ભીમ આર્મીના કાર્યકરો આ સાથે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસે ક્રોસ ફરિયાદ લીધી

બંને ભાઈઓનું કહેવું છે કે ચારેયે તેમને માર માર્યો હતો પરંતુ પોલીસે તપાસ કર્યા વગર તેમની સામે પણ ગુનો નોંધ્યો છે. બંને ભાઈઓએ તેમની સામે નોંધાયેલી એફઆઈઆરની તપાસની માંગ કરી હતી. પોલીસ અધિકારી સીએસપી અશોક જાદૌન બંને યુવકને મળવા પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને સમજાવીને તેમની માંગણીઓ પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો: 'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.