જાતિવાદીઓએ દલિત મહિલાની 8.5 વીઘા જમીન પડાવી લીધી
આરોપીઓએ દલિત મહિલા અને તેના પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Casteists snatch 8.5 bighas of land from Dalit woman : ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં ગામડાઓમાં સ્થાયી અને કાયમી આવકનું એકમાત્ર સાધન ખેતીની જમીન છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં નજર કરશો તો ખ્યાલ આવશે કે આ જમીનોની માલિકી મોટાભાગે કથિત સવર્ણ જાતિના લોકો પાસે જ છે. હરિયાણા-પંજાબમાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં દરબાર અને પટેલ જાતિઓ, યુપીમાં ઠાકુરો સૌથી વધુ ખેતીની જમીન પર કબ્જો જમાવીને બેઠાં છે. ખેતીની જમીન કાયમી આવક રળી આપે છે અને તેનાથી સમૃદ્ધિ મેળવીને બે પાંદડે થઈ શકાય છે, તે સમજી ચૂકેલા સવર્ણો તસુભાર ખેતીની જમીન પણ દલિતો, આદિવાસીઓ કે ઓબીસી સમાજના લોકોના હાથમાં ન જાય તેનું ધ્યાન રાખે છે. પરિણામે આખા દેશમાં એસસી, એસટી ઓબીસી સમાજ ભૂમિહીન ખેતમજૂર બનીને રહી ગયો છે. જે થોડાં ઘણાં દલિતો, આદિવાસીઓ પાસે ગામડાઓમાં ખેતીની જમીન બચી છે, તેમને પણ જાતિવાદી તત્વો પડાવી લેવા સતત અધીરા રહે છે.
યુપીના મૈનપુરીના ગોકુલપુર ગામની ઘટના
કંઈક આવું જ આ ઘટનામાં પણ બન્યું છે. ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીની છે. અહીં મૈનપુરીના કરહાલ વિસ્તારમાં જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારની 8.5 વીઘા જમીન કબજે કરી લીધી. જ્યારે દલિત મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેમને જાતિસૂચક ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી. દલિત પરિવારે એસસી-એસટી કોર્ટમાં ફરિયાદ કરી, જેના આધારે પાંચ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ જાતિવાદી શિક્ષકે દલિત વિદ્યાર્થીને કહ્યું, ‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’
મામલો મૈનપુરી જિલ્લાના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલપુર ગામનો છે. અહીં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત મહિલાના પરિવારની સાડા આઠ વીઘા જમીન પર દાદાગીરીથી કબજો જમાવ્યો હતો. જ્યારે દલિત પરિવારે તેનો વિરોધ કર્યો તો તેમને ન માત્ર જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ જમીન રામરતિ નામની મહિલાના નામે નોંધાયેલી હતી, જે તેના પુત્ર ભૂપસિંહે ખરીદી હતી.
જાતિવાદી તત્વોએ દાદાગીરી કરી કબ્જો જમાવ્યો
દલિત સમાજમાંથી આવતા ભૂપસિંહ બરનાહલના આલમપુર દેહા ગામના વતની છે. તેમણે આ જમીન ગોકુળપુરના વિદ્યારામ અને બદનસિંહ યાદવ પાસેથી ખરીદી હતી. જમીનની ખરીદી કર્યા બાદ તેમણે જમીનનો કબજો મેળવીને કાયદાકીય પ્રક્રિયા મુજબ જમીન પોતાની માતા રામરતિના નામે નોંધાવી હતી. બધું બરાબર ચાલતું હતું ત્યાં જ ગામના ગુંડાઓ અજીત, અંશુલ, રમેશ, મહેન્દ્ર અને ઉપેન્દ્રએ કાવતરું ઘડી આ જમીન કબજે કરી લીધી અને ભૂપસિંહ અને તેની માતાને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા. આરોપીઓએ તેમને ધમકી આપી કે ફરીથી આ જમીન પર દેખાયા તો જાનથી મારી નાખીશું.
ભૂપસિંહ અને તેની માતાએ જાતિવાદીઓનો સામનો કર્યો
ભૂપ સિંહે જણાવ્યું કે જ્યારે તેણે તેની માતા સાથે મળીને જાતિવાદીઓ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ જમીન પર પોતાનો હક જમાવવાનો પ્રયાસ કરશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જાતિવાદીઓએ તેમની માતા રામરતિનું અપમાન કરવામાં પણ જરાય શરમ નહોતી અનુભવી.
આ પણ વાંચોઃ જે થવું હોય તે થાય, બાકી દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ...
આ મામલે ભૂપસિંહ અને તેની માતાએ સ્થાનિક પોલીસને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે તેણે હિંમત ભેગી કરી અને SC-ST કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટની સૂચના પર કરહાલ પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
ગામમાં તંગદિલી ફેલાઈ, દલિત પરિવારને ન્યાયની આશા
ઘટના બાદ ગામમાં તંગદિલીનો માહોલ છે. જાતિવાદી તત્વોનું મનોબળ ઉંચુ છે અને પીડિત પરિવાર ન્યાયની આશાએ કોર્ટ અને પોલીસના ચક્કર લગાવી રહ્યો છે. આ ઘટનાએ સામાજિક અન્યાય અને ભેદભાવનું ચિત્ર તો રજૂ કર્યું જ છે, પણ સાથે સાથે એવો પ્રશ્ન પણ ઊભો કર્યો છે કે નબળા વર્ગના લોકોએ તેમના અધિકારો અને સન્માન માટે ક્યાં સુધી આવી લડાઈ લડવી પડશે.
ભૂપ સિંહનું કહેવું છે કે જમીનની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે કાયદેસર હતું અને તેની પાસે તેના તમામ દસ્તાવેજો છે. તેમ છતાં જાતિવાદીઓએ તેમની જમીન પર કબ્જો જમાવી લીધો છે અને તેમની તથા તેમના પરિવારની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું, “અમે ડૉ. આંબેડકરના સંતાનો છીએ. અમે કાયદામાં વિશ્વાસ રાખીએ છીએ અને અમને ન્યાય મળવાની આશા છે. પરંતુ જાતિવાદીઓની બીક અને સામાજિક ભેદભાવ અમારા સંઘર્ષને વધુ મુશ્કેલ બનાવી રહ્યાં છે.
વહીવટીતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે
આ ઘટનાએ વધુ એકવાર યુપીના સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પણ છતી કરી છે. ગામલોકોનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે જાતિવાદીઓએ દલિતોને તેમના અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો હોય. પોલીસની ઢીલી નીતિ અને જાતિવાદીઓનો રાજકીય પ્રભાવ ઘણીવાર પીડિતોને ન્યાયથી દૂર રાખે છે.
હવે જોવાનું એ રહે છે કે કોર્ટના આદેશ બાદ વહીવટીતંત્ર કેટલી કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય અપાવે છે. આ ઘટના માત્ર જમીનનો વિવાદ નથી, પરંતુ સામાજિક અસમાનતા અને જાતિગત ભેદભાવ સામેનો એક મોટો પડકાર છે, જે આજે પણ આપણા સમાજમાં ઊંડા જડ ઘાલી ગયો છે.
આ પણ વાંચોઃ ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત