હિંમતનગરમાં દલિતોએ સાફો-ચશ્મા પહેરી જાતિવાદીઓનો વિરોધ કર્યો

હિંમતનગરમાં દલિત સમાજના આગેવાનોએ ગઈકાલે સાયબાપુરાની ઘટનાને લઈને જાતિવાદી તત્વોના વિરોધમાં અનોખ રીતે વિરોધ નોંધાવી કલેક્ટરને રજૂઆત કરી હતી.

હિંમતનગરમાં દલિતોએ સાફો-ચશ્મા પહેરી જાતિવાદીઓનો વિરોધ કર્યો
image credit - khabarantar.com

ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરની કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના લોકોએ માથે સાફો બાંધી, આંખો પર ચશ્મા પહેરીને અનોખી રીતે જાતિવાદી તત્વોનો વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુરમાં થોડા દિવસ પહેલા એક દલિત યુવકે ગામના જાતિવાદી તત્વોએ સોશિયલ મીડિયામાં સાફો અને ચશ્મા પહેરેલા ફોટાં મૂકવા બદલ માર મારી, જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યો હતો. આ ઘટનાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી. આ બાબતની ફરિયાદ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે.  જેના વિરોધમાં આજે સાબરકાંઠા કલેકટર અને ડી.એસ.પી.ને દલિત સમાજના આગેવાનો, યુવાનોએ સામૂહિક રીતે સાફા અને ચશ્મા પહેરી આવેદનપત્ર આપ્યું હતું અને ગામના તમામ દલિત સમાજના લોકોને સાફા અને ચશ્મા પહેરાવી પદયાત્રા કરાવવાની માંગ તંત્ર પાસે કરી હતી.

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવું પ્રથમ વખત બન્યું છે જેમાં જાતિવાદી ઘટનાનો ભોગ બનનારની સાથે દલિત સમાજના લોકોએ સામુહિક રીતે સાફા બાંધી, ચશ્મા પહેરી આવેદનપત્ર આપ્યું હોય અને આ જ રીતે પદયાત્રાની માંગ કરી હોય.

ઘટના શું હતી?

હિંમતનગરના સાયબાપુરા ગામના અજયકુમાર રમેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તા. 17 જુલાઈ 2024ની રાત્રે ઓટોરિક્ષા લઈને નવાનગર બસ સ્ટેન્ડથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ક્રિપાલસિંહ નવલસિંહ રાઠોડ અને મનુસિંહ લલિતસિંહ રાઠોડના છોકરાએ નીચે ઉતારીને, "તું તારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માથે સાફો બાંધેલો ફોટો કેમ મૂક્યો છે?, તું દરબાર નથી એટલે તારે આવો માથે સાફો બાંધેલો ફોટો મૂકવાનો નહીં." એમ કહીને તેમની જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરીને અપમાનિત કર્યા હતા. 

આ પણ વાંચો: કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા

એ પછી અજયભાઈ ત્યાંથી આગળ ગયા હતા, ત્યાં રાજનગર ખાતે તેમને હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ અને શુકલસિંહ બકુસિંહ રાઠોડ નામના બે શખ્સોએ આવીને અટકાવ્યા હતા અને મારામારી કરી હતી. જેથી અજયકુમારના પિતા તથા અન્ય એક વ્યક્તિ ભાવેશભાઈ આવી જતા આ શખ્સોએ તેમને પણ જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરી, અપશબ્દો બોલીને ઝપાઝપી કરી હતી. સાથે જ આ ચારેય શખ્સોએ મળીને પીડિત અજયકુમારને ઘર સાથે જીવતા સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અજયભાઈએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના રાષ્ટ્રીય સ્તરે ગાજી હતી. એ પછી દલિત સમાજ સંગઠનો સક્રિય થયા હતા અને આ મામલે જાતિવાદી તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. તે અંતર્ગત જ આજે હિંમતનગર કલેક્ટરને સાફો બાંધી, ચશ્મા પહેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.