દલિતોનું પ્રતિનિધિ મંડળ સીએમ કાર્યાલય પહોંચ્યું, પણ મળવા ન દેવાયા
દલિતોનું એક પ્રતિનિધિ મંડળ દલિત સમાજના વિવિધ 10 મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યું હતું, પણ તેમને સીએમને મળવા દેવાયા નહોતા. જાણો એ મુદ્દાઓ વિશે.

ગુજરાતના કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી દલિત સમાજના પ્રશ્નોને લઈને ભારે અસંવેદનશીલ જણાય છે. આવું આમ તો અનેક ઘટનાઓમાં જોવા મળ્યું છે, પણ ગઈકાલે ફરી એકવાર આવું જોવા મળ્યું. ગઈકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને તેના સાથી સંગઠનો દલિત સમાજના વિવિધ 10 જેટલા પ્રશ્નો લઈને ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પણ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ તેમને સીએમને મળવા દીધાં નહોતા. એ પછી દલિત સમાજના કર્મશીલોએ આક્ષેપ કર્યો કે, તેમની રજૂઆત સાંભળવામાં પણ રાજ્યના મુખ્યમંત્રી રાજકીય આભડછેટ રાખી રહ્યાં છે.
એડવોકેટ સુબોધ કુમુદ અને તેમના સાથીઓ છેલ્લા ઘણાં સમયથી દલિત સમાજના જે મુદ્દાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને લઈને ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે આશરે 30થી 35 જેટલા દલિત કર્મશીલો સાથે મુખ્યમંત્રીના જન સંપર્ક કાર્યાલય પહોંચ્યા હતા. તેઓને મુખ્યમંત્રી જન સંપર્ક કાર્યાલય ખાતે બેસાડીને તેમની મુલાકાત અધિક મુખ્ય સચિવ ગૃહ સાથે કરાવવામાં આવી હતી. જ્યાં તેઓએ લેખિતમાં પોતાની રજૂઆત કરી હતી. દર સોમવારે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યભરમાંથી આવતા અરજદારોને અને મુલાકાતીઓને રૂબરૂ મળતા હોય છે, પરંતુ આજે જ્યારે દલિત સમાજના કર્મશીલો સમાજના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેમની સાથે આ ઘટના બનતા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.
ક્યા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી?
એડવોકેટ સુબોધ કુમુદ અને સાથી સંગઠનો દ્વારા રાજ્યના દલિતોના અનેક પડતર મુદ્દાઓ પૈકી નીચે મુજબના ૧૦ અગત્યના મુદ્દાઓ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.
1. અસ્પૃશ્યતા અને જાતિ આધારીત વસતિ ગણતરી કરવી
૨૧ મી સદીમાં બંધારણમાં આર્ટીકલ-૧૭ માં અસ્પૃશ્યતાની નાબૂદીની વાતને મૂળભુત અધિકાર તરીકે સ્વીકારેલ હોવા છતાં પણ દલિતોએ જાતિ વ્યવસ્થાના કારણે અસ્પૃશ્યતાનો સામનો કરવો પડે છે. આજેપણ જાહેર જગ્યાએ પ્રવેશબંધી, લગ્નપ્રસંગે વરઘોડો કાઢવા-મૂછો રાખવામાં પાછળ સિંહ લગાવવા પર હુમલો, વાળ નહીં કાપવા જેવી ઘટનાઓ છાશવારે રાજ્યના દલિતો (અનુ. જાતિ) સાથે બની રહી છે. જે રાજ્ય સરકાર અને નાગરીકો માટે શરમજનક કહેવાય.
આ ઉપરાંત રાજ્યમાં અનામત નીતિનો અમલ કરવા માટે અને અનુ. જાતિ/અનુ. જન જાતિ તથા તમામ સમાજના વંચિત લોકોના વિકાસ માટે યોજનાઓ બનાવવા કોની કેટલી સંખ્યા તથા સામાજિક દરજ્જો શું છે એ જાણવું ખુબ જ જરૂરી છે. જેના માટે જાતિ આધારીત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સર્વે થવો ખુબ જ જરૂરી છે.
રાજ્ય સરકાર સમક્ષ માંગણી છે કે, ગુજરાતમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો સનદી અધિકારીની અધ્યક્ષતામાં Special Investigation Team નું ગઠન કરી રાજ્યમાં દરેક સ્તરે પ્રવર્તતી અસ્પૃશ્યતાનો અભ્યાસ કરવામાં આવે અને ગુજરાતને અસ્પૃશ્યતા મુક્ત રાજ્ય બનાવવામાં આવે. આની સાથોસાથ જાતિ આધારિત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સર્વે કરાવી એ મુજબ યોજના બનાવવા પહેલ કરવામાં આવે.
૨. પે-સેન્ટર દીઠ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી
રાજ્યમાં અપૂરતી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓના લીધે ગરીબ વિદ્યાર્થીઓ અને એમાંય ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના શિક્ષણથી વંચિત રહી જાય છે. ગામડાઓમાં તાલુકા મથકે પણ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ઓછી હોવાથી આજે આખું વિશ્વ મોટેભાગે જ્યારે અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપતું હોય તો ગુજરાત સરકારે પણ એમ પીછેહઠ ના કરવી જોઈએ. રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી તમામ સરકારી/અનુદાનિત શાળા-કોલેજોમાં અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતી કરતી પે-સેન્ટર દીઠ એક અંગ્રેજી માધ્યમની ધો. ૧ થી ૧૨ ની સરકારી શાળા શરૂ કરવાની જાહેરાત કરે.
૩. સ્કોલરશીપ/ફ્રી-શીપ કાર્ડ અને આવકમર્યાદા વધારો
હાલમાં પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર ફોર્મ ભરવામાં આવે છે. પરંતુ, સમયસર સ્કોલરશીપની ચુકવણી ના થતા કોલેજ યુનિવર્સિટી દ્વારા ફી ભરવા દબાણ કરવામાં આવે છે, પરીક્ષા આપવા દેવામાં નથી આવતી, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય તેઓના પરીણામ અટકાવી દેવામાં આવે છે અને આવા વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં નથી આવતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તો વિધ્યાર્થીઓ સ્કોલરશીપ પર નિર્ભર બનતા હોય છે. ગ્રાન્ટ ન હોવાના કે અન્ય બહાના હેઠળ જ્યારે સ્કોલરશીપ ચૂકવવામાં નથી આવતી ત્યારે નાણાંના અભાવને કારણે વિધ્યાર્થીઓએ ડ્રોપ -આઉટ કરવું પડે છે.
આ પણ વાંચો: ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ
આ ઉપરાંત, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ફ્રી-શિપ કાર્ડ કઢાવેલું હોવા છતાં કોલેજ યુનિવર્સિટી દ્વારા પહેલા ફી ની માંગણી કરવામાં આવે છે અને યુનિવર્સિટીમાં ફ્રી શિપ કાર્ડ નથી ચાલતું એવુ કહેવામાં આવે છે. વધુમાં, ફ્રી-શીપ કાર્ડ કઢાવવાની આવકમર્યાદા ફક્ત ૨.૫ લાખ જ નિયત કરવામાં આવી છે. જેનાથી જે હેતુ માટે ફરી-શીપ કાર્ડની યોજના લાવવામાં આવી હતી એ હેતુ પાર પડતો દેખાતો નથી.
આથી જેટલા પણ વિધ્યાર્થીઓની સ્કોલરશીપ ચૂકવવાની બાકી હોય એ તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે અને જ્યાં સુધી ચુકવણી કરવામાં ન આવે તે કિસ્સામાં વિદ્યાર્થીઓને એડમિશન અટકાવવાની, પરીક્ષા ન આપવા દેવાની, રિઝલ્ટ અટકાવવા જેવી કોઈ હેરાનગતિ ન થાય એ બાબતે તમામ કોલેજોને સૂચના આપવામાં આવે. આ ઉપરાંત, અનુ. જાતિના વિધ્યાર્થીઓને તમામ શૈક્ષણિક યોજનાના લાભ માટે આવકમર્યાદા રૂપિયા ૬ લાખ કરવામાં આવે અને એની અસર ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર પણ આપવામાં આવે. ખાનગી યુનિવર્સિટી સંલગ્ન કેટલાક અભ્યાસક્રમોમાં એફ. આર. સી. ન થવાને લીધે અનુ. જાતિ વર્ગના વિધ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી એ સારું તમામ ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓમાં ફરી-શીપ કાર્ડ ફરજીયાત બનાવવામાં આવે.
૪. સ્મશાન ભૂમીની જગ્યા ફાળવવામાં આવે
રાજ્યમાં દલિતો જીવતેજીવ તો અસ્પૃશ્યતાનો સામનો કરે જ છે. પરંતુ, મર્યા બાદ પણ અસ્પૃશ્યતાનું ભુત એમનો પીછો નથી છોડી રહ્યું. આજે પણ મૃતદેહોની અંતિમક્રિયા માટે દલિતોને મૃતદેહ લઈને રઝળપાટ કરવા મજબુર થવું પડે છે. રાજ્ય સરકાર ‘એક ગામ, એક સ્મશાન’ યોજના પૂર્ણપણે લાગુ કરે અન્યથા દલિતોને મૃતદેહોની અંતિમક્રિયા માટે અલગથી સ્મશાનભુમી નીમ કરવા માટે નીતિ બનાવી વિશેષ અભિયાન ચલાવે.
૫. ફાળવેલ જમીનની કબજા સોંપણી અને નવી જમીનની ફાળવણી કરવામાં આવે
ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ કરીને ૬ મહિનામાં જેમને સરકાર દ્વારા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ અન્વયે સાંથણીમાં જમીન ફાળવી હોય એના કબજા સુપરત કરવા બાબતે તાં. ૧૯/૦૨/૨૦૧૮ના મહેસૂલ વિભાગના પરિપત્રથી સૂચનાઓ આપવામાં આવેલી. પરંતુ, આજદિન સુધી આ પરિપત્રનો અમલ થયો નથી. આ ઉપરાંત, દલિતોને ફાળવેલી મોટાભાગની જમીનનો કબજો ફક્ત કાગળ ઉપર જ છે. ઘણા કિસ્સાઓમાં ફાળવેલી જમીનોનો કબજો માથાભારે ઇસમો પાસે હોય છે. રાજ્યના મહેસૂલી અધિકારોએ ખરેખર તો સ્થળ પર ચાર દિશામાં ખૂંટ મારીને જમીનોનો શાંત, ભૌતિક અને વાસ્તવિક કબજો સોંપાય એ સુનિશ્ચિત કરવાનું હતું પણ એમ થતું નથી.
આથી રાજ્ય સરકાર મહેસૂલ વિભાગ મારફતે સાંથણીમાં ફાળવેલી જમીનો ચાર દિશામાં ખૂંટ મારી, ચતુઃસીમા સાથેનું પંચરોજકામ કરી, ગામ નમૂના નંબર ૭ માં એની અસર આપી, મામલતદારશ્રી રજાચિઠ્ઠી સાથે પ્રત્યક્ષ કબજા સોંપણીનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરે. આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી પડતર જમીનોની સાંથણી કરવામાં આવી નથી. રોજગારીના સર્જનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગ મારફતે નવી જમીનોની ફાળવણી કરવામાં આવે જેમાં પ્રાથમિકતા વાલ્મિકી સમુદાયની અને વિધવા બહેનોને આપવામાં આવે.
૬. સફાઈકામ અને સફાઇ કામદાર વિકાસ નિગમની લોન આપો
રાજ્યમાં આજે પણ અવાર-નવાર ગટરમાં ઉતારીને સફાઇ કામ કરાવવાથી સફાઇ કામદારોના મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એસ મેન્યુઅલ સ્કેવેન્જર્સ કાયદો,૨૦૦૩ અમલમાં હોવા છતાં આજે પણ આ કામ કરાવવામાં આવી રહ્યું છે. જેનાથી સફાઇ કામદારોને વાયબ્રન્ટ ગુજરાતમાં તેમનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
સફાઇ કામ સાથે જોડાયેલા લોકોને જાતિવ્યાવસ્થા દ્વારા થોપવામાં આવેલ કામમાંથી મુક્તિ મળે એ હેતુથી સફાઇ કામદાર વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. પરંતુ, સફાઇ કામદાર વિકાસ નિગમની યોજના અંતર્ગત મળતી લોનની સહાય તદ્દન નજીવી હોઇ સફાઇ કામદારોની મશ્કરી સમાન છે.
આ પણ વાંચો: EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ
આથી ગટરમાં ઉતરીને સફાઇ કામ ન કરવું પડે એવા આધુનિક સાધનો વસાવીને સફાઇ કામ કરાવવામાં આવે અને સફાઇ કામદાર વિકાસ નિગમની લોન સહાયમાં વધારો કરવામાં આવે. મેન્યુઅલ સ્કેવેંજીંગ અટકાવવા માટે ટીવી અને પ્રસાર માધ્યમોમાં જાહેરાત આપવામાં આવે તથા તમામ જાહેર સ્થળોએ એ અંગેની જાગૃતિ ફેલાવતા પોસ્ટર લગાવવામાં આવે.
૭. દલિત અત્યાચારની ઘટનાઓમાં ન્યાય આપો
વર્ષ-૨૦૧૨માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ફરજ પરના પોલીસ કર્મચારીની ગોળીઓથી ૩ દલિત યુવાનો વીંધાઈ ગયેલા. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા સંજયપ્રસાદના વડપણ હેઠળ તપાસ સમિતિ નીમવામાં આવેલી. જેનો રિપોર્ટ રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ હોવા છતાં એને આજદિન સુધી જાહેર કરવામાં નથી આવ્યો અને આ ઘટના બાબતે પણ કોઈ જ ખુલાસો કરવામાં નથી આવ્યો. આ ૩ દલિત દીકરાઓને જાહેરમાં કોણે ગોળીઓથી વીંધી નાંખ્યા એનો રાજ્ય સરકાર પાસે કોઈ જ જવાબ નથી જે ખરેખર શરમજનક બાબત છે.
આ ઉપરાંત, ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ રાજ્ય સરકાર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવેલી અને બહુચર્ચિત ઉના દલિત અત્યાચારની ઘટના બાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પીડિતોને મળીને બાંહેધરી આપવામાં આવેલી એનું પણ પાલન કરવામાં નથી આવ્યું.
રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા ૫૩૫ ફોજદારી કેસોમાંથી ૨૫૫ ફોજદારી કેસો પરત ખેંચવામાં આવેલ છે. જ્યારે અસંખ્ય રજૂઆતો બાદ અને ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ લેખિતમાં બાંહેધરી આપવા છતાં હજી સુધી ઉના આંદોલન અને ૨ એપ્રિલ ભારત બંધ તથા ભાનુભાઇ વણકર વખતે થયેલા આંદોલનોમાંથી એકપણ ફોજદારી કેસ પરત ખેંચાયો હોય એવું ધ્યાનમાં નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન શિબિર યોજાઈ
આથી થાનગઢ દલિત હત્યાકાંડ-૨૦૧૨નો સંજયપ્રસાદ કમિટીનો રીપોર્ટ જાહેર કરવામાં આવે. ઉના દલિત અત્યાચાર-૨૦૧૬ વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પીડિત પરિવારને આપેલ બાંહેધરીનું અને ભાનુભાઇ વણકર આત્મવિલોપન-૨૦૧૮ બાદ રાજ્ય સરકારે આપેલી લેખિત બાંહેધરીઓનું પાલન કરવામાં આવે. ઉના દલિત અત્યાચાર(વર્ષ -૨૦૧૬) આંદોલન, ૨ એપ્રિલ,૨૦૧૮ ભારત બંધ તથા ભાનુભાઇ વણકર (ફેબ્રુઆરી-૨૦૧૮) વખતે થયેલા આંદોલનો દરમિયાન દલિત આંદોલનકારીઓ સામે નોંધાયેલ ફોજદારી કેસો પરત ખેંચવામાં આવે.
૮. અનુ. જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓ ખોલવી
અનુ. જાતિના વિધ્યાર્થીઓ ગામડેથી તાલુકા સેન્ટરમાં અભ્યાસ માટે મોટા પ્રમાણમાં જઇ શકે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે હજી વધારે પ્રમાણમાં સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓની જરૂરીયાત છે. વધુમાં, હાલની સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં પુરતી સુવિધાઓનો અભાવ છે. વિધ્યાર્થીઓ હલકી ગુણવત્તાવાળો અને બિનપોષણયુક્ત આહાર ખાવા મજબુર બન્યા છે. રાજ્ય સરકાર વર્તમાન સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓ અધતન બનાવવા અને સંખ્યા વધારવા એસસી/એસટી સબ પ્લાનના નાણાં અન્યત્ર ફાળવવાની જગ્યાએ આ કામ માટે એસસી/એસટી સબ પ્લાનમાંથી ગ્રાન્ટની ફાળવણી કરે.
૯. સરકારી બેકલોગની ભરતી અને રોસ્ટર નિભાવણી કરવામાં આવે
રાજ્ય સરકાર હસ્તકના વિભાગોમાં વર્ષોથી અનુ. જાતિ/અનુ. જન જાતિના કર્મચારીઓની જગ્યાઓ પુરતા પ્રમાણમાં ભરાયેલ નથી. જેનાથી રાજ્ય સરકારની નોકરીઓમાં અનુ. જાતિ /અનુ. જન જાતિને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. આ ઉપરાંત, રાજ્ય સરકારની જગ્યાઓ માટે રોસ્ટર નિભાવવામાં પણ અધિકારીઓ દ્વારા જાણીજોઇને ઇરાદાપૂર્વક મનમાની કરીને અનુ. જાતિ /અનુ. જન જાતિના ઉમેદવારોને અન્યાય કરવામાં આવતો હોય એવું અનુભવાઈ રહ્યું છે. આથી રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી સરકારી બેકલોગની કેટલી જગ્યાઓ ખાલી છે એની કેટેગરી પ્રમાણે જાહેરાત કરે તથા આ જગ્યાઓ કેટલા સમયમાં ભરવામાં આવશે એ અંગે શ્વેતપત્ર બહાર પાડે.રાજ્ય સરકાર રોસ્ટરનીતિનો સંપૂર્ણપણે અમલ કરાવે અને દરેક વિભાગના રોસ્ટર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટીવ ડિસ્ક્લોઝરનો ભાગ બનાવી ડિજીટલ ગુજરાત અભિયાનને બળ આપવા આ તમામ માહિતી ગુજરાત સરકારના તમામ વિભાગોની વેબસાઇટ ઉપર ઓનલાઈન પણ જાહેર કરે.
૧૦. અનુ. જાતિ માટેની લોન સહાય, સબસીડીની રકમ તથા ઉદ્યોગ સાહસિકતા
વર્તમાન મોંઘવારીના યુગમાં અનુ. જાતિ કલ્યાણ માટેની યોજનાઓની લોન અને સબસીડીની સહાયમાં જોઈએ તેટલા પ્રમાણમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. જેનાથી આ યોજનાઓનો મૂળ હેતુ સરતો નથી. આ યોજનાઓની સહાય અને સબસીડીની રકમ વધારવામાં આવે તો જ એને હેતુ પાર પડશે. ૨૧ મી સદીમાં આ યોજનાઓની યાદીમાં નવી યોજનાઓનો સમાવેશ કરવો પણ સમયની માંગ છે. વધુમાં, અનુ. જાતિના ઇસમોને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહન મળે એ માટે સરકારે વિશેષ પ્રયત્નો કરવાનો સામી આવી ગયો છે. આથી સરકાર દ્વારા અનુ. જાતિ માટેની લોન સહાય, સબસીડીની રકમ (ખાસ કરીને વિદેશ અભ્યાસ લોન અને તબીબી-ટેકનિકલ ધંધા-રોજગાર માટેની)માં વધારો કરવામાં આવે અને ઉધ્યોગ સાહસિક્તામાં પ્રોત્સાહન મળે એ માટે ઔધોગિક જમીનો અને સાઇટ્સની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવે જેમાં કો-લેટરલ સિક્યુરિટીની જવાબદારી સરકાર સ્વીકારે.
આ સમગ્ર બાબતોને અનુલક્ષીને ગંભીરતાપૂર્વક મુખ્યમંત્રી અને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સાથે જ એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે 23મી સપ્ટેમ્બર 2024ના સંકલ્પ દિવસ સુધીમાં આ મામલે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો રાજ્ય સરકારને આ રાજ્યના દલિતોની કોઈ જ પડી નથી એમ માનીને ન છૂટકે દલિતોને રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબુર થવું પડશે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય SC આયોગે 40 જેટલા મુદ્દે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો