ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?
ડો.આંબેડકર લિખિત બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં RSS નું વારંવાર ઉછળી રહ્યું છે ત્યારે સંઘ અને તેના સ્થાપકો બંધારણ વિશે શું માનતા હતા તે સમજીએ.

RSS Opposed Indian Constitution: બંધારણના 75 વર્ષ પૂરા થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં આરએસએસ અને તેના નેતાઓનું નામ અનેકવાર ઉછળ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ડૉ.આંબેડકર લિખિત ભારતના બંધારણને લઈને RSS નું વલણ શું રહ્યું છે?
26 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભાએ બંધારણ સ્વીકાર્યું. એ પછી 26 જાન્યુઆરી, 1950થી આખા દેશમાં તેને લાગુ કરવામાં આવશે અને ત્યાર બાદ આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી.
RSS એ આ ઐતિહાસિક સિદ્ધિ પર શોક વ્યક્ત કર્યો હતો. 30 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભા દ્વારા બંધારણ પસાર થયાના ત્રણ દિવસ પછી, RSS ના અંગ્રેજી મુખપત્ર 'ઓર્ગેનાઇઝર'એ લખ્યું - "આપણા બંધારણમાં, પ્રાચીન ભારતમાં અનન્ય બંધારણીય વિકાસનો કોઈ ઉલ્લેખ નથી. મનુના કાયદા સ્પાર્ટાના લાઈકર્ગસ અથવા ફારસના સોલનના ઘણા સમય પહેલા લખાયા હતા. આજે પણ મનુસ્મૃતિમાં વર્ણવેલા તેમના કાયદા સમગ્ર વિશ્વમાં વખણાય છે અને સ્વયંસ્ફુરિત આજ્ઞાપાલન અને અનુરૂપતાને પ્રોત્સાહિત કરે છે. પરંતુ આપણા બંધારણીય પંડિતો માટે આનો કોઈ અર્થ નથી."
14 ઓગસ્ટ, 1947ના રોજ, સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ, RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદકીયમાં 'વ્હીદર' શીર્ષકથી લખ્યું હતું - "આપણે હવે પોતાને રાષ્ટ્રવાદની ખોટી ધારણાઓથી પ્રભાવિત થવા દેવી જોઈએ નહીં. માનસિક ભ્રમ તથા વર્તમાન અને ભવિષ્યની ઘણી મુશ્કેલીઓ એ સરળ તથ્યની તાત્કાલિક માન્યતાથી દૂર થઈ શકે છે કે હિંદુસ્તાનમાં માત્ર હિંદુ જ રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને રાષ્ટ્રીય સંરચનાને એ સુરક્ષિત અને મજબૂર પાયા પર બાંધવું જોઈએ. રાષ્ટ્રનું નિર્માણ પોતાના પર - હિન્દુઓના, હિન્દુ પરંપરાઓ, સંસ્કૃતિ, વિચારો અને આકાંક્ષાઓ પર થવું જોઈએ."
આ પણ વાંચોઃ ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..
વિનાયક દામોદર સાવરકર પણ દેશના બંધારણમાં મનુના કાયદા લાગુ કરવા માંગતા હતા. તેઓ લખે છે - 'મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે વેદ પછી આપણા હિન્દુ રાષ્ટ્ર દ્વારા સૌથી વધુ પૂજનીય છે અને જે પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિ, રિવાજો, વિચારો અને વર્તનનો આધાર બની ગયું છે. સદીઓથી આ પુસ્તકે આપણા રાષ્ટ્રની આધ્યાત્મિક અને દૈવી યાત્રાને સંહિતાબદ્ધ કરી છે. આજે પણ કરોડો હિંદુઓ તેમના જીવન અને વર્તનમાં જે નિયમોનું પાલન કરે છે તે મનુસ્મૃતિ પર આધારિત છે. આજે મનુસ્મૃતિ હિંદુ કાયદો છે. આ મૂળભૂત છે. (વી. ડી. સાવરકર, ‘મનુસ્મૃતિમાં મહિલાઓ’)
હિંદુત્વ દક્ષિણપંથી અને કોંગ્રેસની અંદર રૂઢિવાદી વર્ગોએ, ભગવા વસ્ત્રોવાળા સ્વામીઓ અને સાધુઓ સાથે મળીને હિંદુ કોડ બિલના અમલનો વિરોધ કર્યો હતો. તેઓ વિરોધમાં દેશભરમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ લોકોએ દિલ્હીમાં ડો.બી.આર.આંબેડકરના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. આંબેડકરના નિવાસસ્થાન પર હુમલાની તરફેણમાં તેમની દલીલ હતી - 'આ બિલ 'હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પર હુમલો છે'. (ઈકોનોમિક વીકલી, 24 ડિસેમ્બર, 1949 અને સાવરકર સમગ્ર (હિન્દીમાં સાવરકરના લેખોનો સંગ્રહ), પ્રભાત, દિલ્હી, ભાગ 4, પૃષ્ઠ 415.)
આ બિલ પર ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તકમાંથી એક અંશ જોઈએ - 'ધ એન્ટિ-હિન્દુ કોડ બિલ કમિટીએ સમગ્ર ભારતમાં સેંકડો બેઠકો યોજી, જ્યાં વિવિધ સ્વામીઓએ સૂચિત કાયદાની નિંદા કરી હતી. આ ચળવળમાં ભાગ લેનારાઓએ પોતાને ધાર્મિક યોદ્ધાઓ (ધર્મવીર) તરીકે રજૂ કર્યા, જેઓ એક ધાર્મિક યુદ્ધ (ધર્મયુદ્ધ) લડી રહ્યા હતા. આરએસએસે આ આંદોલન પાછળ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. 11 ડિસેમ્બર, 1949ના રોજ, RSSએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક જાહેર સભા યોજી, જ્યાં એક પછી એક વક્તાઓએ બિલની નિંદા કરી. એકે તેને ‘હિંદુ સમાજ પર પરમાણુ બોમ્બ’ ગણાવ્યો.
બીજા દિવસે આરએસએસના કાર્યકરોના એક ગ્રુપે વિધાનસભા ભવન પર કૂચ કરી અને 'હિંદુ કોડ બિલ મુર્દાબાદ' ના નારા લગાવ્યા. વિરોધીઓએ વડાપ્રધાન અને ડૉ. આંબેડકરના પૂતળા બાળ્યા અને પછી શેખ અબ્દુલ્લાની કારમાં તોડફોડ કરી. (રામચંદ્ર ગુહા, ‘ભાગવત્સ આંબેડકર’, ઈન્ડિયન એક્સપ્રેસ, ડિસેમ્બર 10, 2015)
ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું- 'હિન્દુ કોડ બિલ હિંદુ સંસ્કૃતિના ભવ્ય માળખાને તોડી પાડશે'.
આ પણ વાંચોઃ ભાજપ-RSS ના 'મનુવાદી' ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે
'બંચ ઓફ થોટ્સ'માં ગોલવલકરે આવી નીતિઓની સ્પષ્ટ શબ્દોમાં ટીકા કરી હતી - 'આપણે જાતિ, સંપ્રદાય વગેરેના આધારે જૂથો બનાવવા અને સેવાઓ, નાણાકીય સહાય, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને અન્ય તમામ બાબતોમાં વિશેષ અધિકારો અને વિશેષાધિકારોની માંગણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ. લઘુમતીઓ અને સમુદાયો વિશે વાત કરવાનું અને વિચારવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ."
એ જ પુસ્તકમાં બીજી જગ્યાએ તેઓ લખે છે - 'ડૉ. આંબેડકરે 1960માં પ્રજાસત્તાક બન્યાના દિવસથી માત્ર 10 વર્ષ માટે ‘અનુસૂચિત જાતિઓ’ માટે વિશેષ વિશેષાધિકારોની કલ્પના કરી હતી, પરંતુ તે ચાલુ છે. તેને વધારવામાં આવી રહ્યું છે. એક અલગ જૂથ તરીકે બન્યા રહેવામાં તેમના નિહિત સ્વાર્થ ચાલુ છે. આનાથી બાકીના સમાજ સાથેના તેમના એકીકરણને નુકસાન થશે."
આઝાદી પછી, એમ.એસ. ગોલવલકરે લખ્યું- 'આપણું બંધારણ પણ પશ્ચિમી દેશોના વિવિધ બંધારણોના વિવિધ અનુચ્છેદનું એક બોજારૂપ અને વિચિત્ર સંયોજન છે. એમાં એવું કશું જ નથી જેને આપણું પોતાનું કહી શકાય. શું તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ વાતનો એક પણ સંદર્ભ છે કે આપણું રાષ્ટ્રીય મિશન શું છે અને જીવમાં આપણો મુખ્ય ઉદ્દેશઅય શું છે?' (એમ. એસ. ગોલવલકર, બંચ ઑફ થોટ્સ, સાહિત્ય સિંધુ, બેંગ્લોર, 1966, પૃષ્ઠ 238)
લોકશાહી-ધર્મનિરપેક્ષ ભારતીય બંધારણને બદલે આરએસએસ હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લે છે. આ તેની દરરોજની પ્રાર્થનામાં સામેલ છે. પ્રાર્થના નીચે મુજબ છે - 'પ્રિય માતૃભૂમિ, હું તમને હંમેશા નમન કરું છું/હે હિંદુઓની ભૂમિ, તમે મને સુખ-સુવિધાઓથી ઉછેર્યો છે/હે પવિત્ર ભૂમિ, ભલાઈની મહાન નિર્માતા, મારું આ શરીર તમને સમર્પિત થાય/ હું વારંવાર તમને નમન કરું છું / હે સર્વશક્તિમાન ભગવાન, અમે, હિન્દુ રાષ્ટ્રના અભિન્ન અંગ, તમને નમન કરીએ છીએ / અમે તમારા હેતુ માટે કમર કસી લીધી છે /તેની સિદ્ધિ માટે અમને તમારા આશીર્વાદ આપો.' (આરએસએસ, શાખા દર્શિકા, જ્ઞાન ગંગા, જયપુર, 1997, પૃષ્ઠ-1)
આ પણ વાંચોઃ RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?
રાષ્ટ્રીય એકતા પરિષદ (1961)ની પ્રથમ પરિષદમાં ગોલવલકરે કહ્યું – 'આજની સંઘીય સરકાર ન માત્ર અલગતાની ભાવનાઓને જન્મ આપે છે પરંતુ તેનું પાલનપોષણ પણ કરે છે. એક રીતે તે એક રાષ્ટ્રની હકીકતને ઓળખવાનો ઇનકાર કરે છે. તેનો નાશ કરે છે. તેને સંપૂર્ણપણે ઉખાડી ફેંકવું પડશે. બંધારણને શુદ્ધ કરવું પડશે અને એકાત્મક શાસનની વ્યવસ્થા સ્થાપિત કરવી પડશે.' (SGSD, Vol. 1, p. 11, 'RSS-Marketing Fascism as Indian Nationalism, p. 146; અથવા શ્રી ગુરુજી સમગ્ર, p. 128, વોલ્યુમ 3)
1960ના દાયકાના મધ્યમાં ગોલવલકરે મરાઠી દૈનિક નવકાલને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં ફરી એકવાર મનુસ્મૃતિના વખાણ કર્યા હતા અને બંધારણમાં ખામીઓ હોવાની વાત કરી હતી.
ગોલવલકરનું એક પુસ્તક છે ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’. 1946 માં પ્રકાશિત તેની ચોથી આવૃત્તિ અનુસાર - "ભારતના તમામ બિન-હિંદુઓએ હિન્દુ સંસ્કૃતિ અને ભાષા અપનાવવી પડશે, હિંદુ ધર્મનું સન્માન કરવું પડશે અને હિંદુ જાતિ કે સંસ્કૃતિના મહિમા સિવાય અન્ય કોઈ વિચારોને ધ્યાનમાં રાખવાના નથી."
એ જ પુસ્તકના પેજ 42 પર તેઓ લખે છે - "જર્મનીએ જાતિ અને સંસ્કૃતિની શુદ્ધતા જાળવવા સેમિટિક યહૂદી જાતિનો નાશ કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. તેમાંથી જાતીય ગૌરવના ચરમરૂપની ઝલક મળે છે."
આ પણ વાંચોઃ અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?
ગોલવલકરનું બીજું પુસ્તક છે ‘બંચ ઓફ થોટ્સ’. આ પુસ્તકમાં તેઓ જાતિ વ્યવસ્થાના સમર્થનમાં લખે છે - 'આપણા સમાજની વિશેષતા જાતિ વ્યવસ્થા હતી. આજે તેને જાતિ પ્રથા કહીને તેની મજાક ઉડાવવામાં આવે છે. સમાજની કલ્પના સર્વશક્તિમાન ભગવાનની ચતુરંગ અભિવ્યક્તિના સ્વરૂપ તરીકે કરવામાં આવી હતી. દરેક વ્યક્તિએ પોતપોતાની યોગ્યતા અનુસાર અને પોતાની રીતે તેની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણને એટલા માટે મહાન માનવામાં આવતો હતો કેમ કે તે જ્ઞાનનું દાન કરતો હતો. ક્ષત્રિયને પણ એટલા જ મહાન માનવામાં આવતા હતા કારણ કે તે દુશ્મનોનો સંહાર કરતો હતો. વૈશ્ય પણ ઓછા મહત્વના નહોતા, કારણ કે તેણે કૃષિ અને વાણિજ્ય દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી કરી હતી અને શૂદ્ર પણ હતા જેમણે તેમની કલા કૌશલ્ય દ્વારા સમાજની સેવા કરી હતી."
મહિલાઓ માટે લાવવામાં આવેલા હિંદુ કોડ બિલના વિરોધમાં ગોલવલકરે લખ્યું - જો મહિલાઓને સમાન અધિકાર મળશે, તો તે પુરુષો માટે 'મોટી મનોવૈજ્ઞાનિક કટોકટી' ઊભી કરશે જે 'માનસિક બીમારી અને ડિપ્રેશન'નું કારણ બનશે. (પૌલા બચેટા, જેન્ડર ઇન ધ હિન્દુ નેશનઃ આરએસએસ વુમન એઝ આઇડિયાલોગ્સ, પૃષ્ઠ 124)
આરએસએસના ત્રીજા સરસંઘચાલક રજ્જુ ભૈયા ઉર્ફે રાજેન્દ્ર સિંહે ઈન્ડિયન એક્સપ્રેસ (14 જાન્યુઆરી, 1993)માં લખ્યું - 'વર્તમાન સંઘર્ષને આંશિક રીતે આપણી સિસ્ટમની અયોગ્યતા માટે જવાબદાર ઠેરવી શકાય છે, જે મૂળ ભારત, તેની પરંપરા, મૂલ્યો અને નૈતિક જરૂરિયાતોને પ્રતિસાદ આપવામાં અસમર્થ છે. આ દેશની કેટલીક વિશેષતાઓ બંધારણમાં પ્રતિબિંબિત થવી જોઈએ. ‘ઈન્ડિયા એ ભારત’ ને બદલે આપણે 'ભારત એટલે હિન્દુસ્તાન' કહેવું જોઈએ. સત્તાવાર દસ્તાવેજો સર્વગ્રાહી સંસ્કૃતિનો સંદર્ભ આપે છે, પરંતુ આપણી સંસ્કૃતિ ચોક્કસપણે સર્વગ્રાહી નથી. સંસ્કૃતિ એ કપડાં પહેરવા કે ભાષા બોલવી નથી. ખૂબ જ મૂળભૂત અર્થમાં, આ દેશમાં એક અનન્ય સાંસ્કૃતિક એકતા છે. કોઈપણ દેશ, જો તેને ટકી રહેવું હોય, તો આ બાબતને ખંડિત કરી શકાય નહીં. આ બધું દર્શાવે છે કે બંધારણમાં ફેરફારની જરૂર છે. ભવિષ્યમાં, આ દેશની લોકાચાર અને પ્રતિભાને અનુરૂપ બંધારણ અપનાવવું જોઈએ."
આ પણ વાંચોઃ ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Parmar Haribhai narsinhbhaiJay bhim